મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં કોરોના કોવિડ-19 વાયરસની સોલીડારિટી ટ્રાયલના પ્રયોગો હાથ ધરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સમક્ષ કરેલી રજૂઆતને સફળતા મળી છે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ ગુજરાતમાં આવી સોલીડારિટી ટ્રાયલ માટે અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજને અનૂમતિ આપી છે અને વધુ 4 હોસ્પિટલોની આવી મંજૂરી-અનૂમતિની પ્રક્રિયા-કાર્યવાહિ પ્રગતિમાં છે.બી.જે.મેડિકલ કોલેજને ભારત સરકારે અનુમતિ આપતા ત્યાં કોવિડ-19 પેશન્ટસના રજીસ્ટ્રેશન આવા ટ્રાયલ ટેસ્ટ માટે શરૂ થઇ ગયા છે.

આ સપ્તાહમાં આવી મંજૂરી મળી જતાં રાજ્યની રાજ્યની વધુ 4 હોસ્પિટલો એસ.વી.પી. અમદાવાદ, જી.એમ.ઇ.આર.એસ મેડીકલ કોલેજ ગોત્રી-વડોદરા, ગવર્મેન્ટ મેડીકલ કોલેજ અને ન્યૂ સિવીલ હોસ્પિટલ સુરત, તેમજ પી.ડી.યુ. મેડીકલ કોલેજ રાજકોટની આ હોસ્પિટલોમાં પણ કોવિડ-19 પેશન્ટસ રજીસ્ટ્રેશન કરીને 4 જેટલી દવાઓના ટ્રાયલ ફોર ટ્રીટમેન્ટ –સોલીડારિટી ટ્રાયલ શરૂ કરી દેવાશે.જે 4 દવાઓના આવા પરિક્ષણો-ટ્રાયલ થવાના છે. તેમાં Remdesivir, Lopinavir, Interferon (beta 1 a) અને hydroxychloroquine અથવા Chloroquineનો સમાવેશ થાય છે.

કોરોના વાયરસ કોવિડ-19ના રોગની ઇન્ટરનેશનલ કલીનીકલ ટ્રાયલ ‘સોલીડારિટી ટ્રાયલ’ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને તેના અન્ય સહયોગીઓ દ્વારા 100થી વધુ દેશોમાં અમલી બનાવવામાં આવી રહી છે. ભારતમાં પણ આવી સોલીડારિટી ટ્રાયલ ઇન્ડીયન કાઉન્સીલ ઓફ મેડીકલ રિસર્ચ WHO ની સહભાગીતાથી હાથ ધરવાનું છે.

ગુજરાતમાં પણ આ સોલીડારિટી ટ્રાયલના પ્રયોગો હાથ ધરવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહને રજુઆત-વિનંતી કરી હતી. મુખ્યમંત્રીની આ વિનંતી-રજુઆતનો સાનુકૂળ પ્રતિસાદ આપતાં ભારત સરકારે ગુજરાતમાં પણ આ સોલીડારિટી ટ્રાયલ કરવાની સ્વીકૃતિ આપી છે. આ પ્રયોગો-ટ્રાયલને પરિણામે કોરોના કોવિડ-19 રોગ સામે ઝડપથી અસરકર્તા યોગ્ય દવા મળી રહેશે એટલું જ નહિ, સંક્રમિતોના ત્વરિત સાજા થવાની સંભાવનાઓ પણ વધી જશે.