હવેથી કોરોના વાયરસનું અપડેટ 24 કલાકના અંતરે આપવામાં આવશે, રાજ્યમાં દરરોજ 3 હજાર ટેસ્ટ કરવામાં આવે છે. ટેસ્ટમાં કોઇપણ પ્રકારનો ઘટાડો કરવામાં આવ્યો નથી. પહેલા જેટલા ટેસ્ટ કરવામાં આવતા હતા તેટલા જ ટેસ્ટ કરાશે. દરરોજના 3 હજાર ટેસ્ટમાંથી 2500 ટેસ્ટ અલગ-અલગ વિસ્તારમાં કરવામાં આવશે જ્યારે 500 ટેસ્ટ ક્વૉરન્ટીન કરવામાં આવેલા લોકોમાં કરાશે. મૃત્યુ પામનાર 67 દર્દીમાંથી 60 દર્દી બિમારીથી પીડાતા હતા. ડાયાબિટીસ અને ટીબી જેવી ગંભીર બિમારીઓના કારણે રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે.

ગંભીર બિમારી હોય એ લોકોએ વધારે ધ્યાન રાખવું પડશે. વૃદ્ધો અને બાળકો બહાર ન નીકળે તેમ આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે. બુધવારે નોંધાયેલા વધુ 13 મૃત્યુ સાથે ગુજરાતમાં મોતનો આંકડો કુલ 103 પર પહોંચ્યો છે. આ ઉપરાંત 229 નવા કેસો સાથે કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો કુલ 2,407 પર પહોંચ્યો છે. જ્યારે 179 દર્દીઓ સાજા થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યું છે. બુધવારે રાજ્યના આરોગ્ય સચિવ જયંતી રવિએ એક ખાસ પ્રેઝન્ટેશન રજૂ કર્યુ હતું.

તે પ્રેઝન્ટેશન પ્રમાણે રાજ્યમાં હાઇ રિસ્ક કેટેગરીમાં આવતા દર્દીઓ એટલે કે 60 વર્ષથી મોટી ઉંમરના લોકો, બાળકો કે ગર્ભવતી મહિલા દર્દીઓ કરતાં કોરોના સિવાયની અન્ય બીમારી વિનાના દર્દીઓના મૃત્યુનું પ્રમાણ લગભગ પોણા બે ગણું વધુ છે. રાજ્યના કુલ 2407 પોઝિટિવ કેસ પૈકી હાલ હોસ્પિટલમાં 2,125 દર્દીઓ સારવાર હેઠળ છે અને તેમાંના 13 વેન્ટિલેટર પર છે જયારે 2112ની હાલત સ્થિર છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 39,421 ટેસ્ટ કરાયા તે પૈકી 2407 પોઝિટિવ, અને 37014 નેગેટીવ હતા.