અમૃતસર-જામનગર વચ્ચેના 1,224 કિમી લાંબા ગ્રીનફિલ્ડ કોરિડોરનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલે છે અને તે સપ્ટેમ્બર 2023 સુધીમાં નિર્ધારિત સમયગાળા સુધીમાં પૂરું થશે.

માર્ગ પરિવહન અને હાઇવે પ્રધાન નીતિન ગડકરીએ શ્રેણીબદ્ધ ટ્વીટમાં જણાવ્યું હતું કે બિકારનેર-જોધપુર વચ્ચેના 277 કિમીના ડિસેક્શનનું નિર્માણ કાર્ય નિર્ધારિત સમયે પૂરું થશે અને આ વર્ષના અંત સુધીમાં તે જાહેર જનતા માટે ખુલ્લો મૂકાશે.

ગડકરીએ જણાવ્યું હતું કે ફ્લેગશીપ અમૃતસર-ભટિંડા-જામનગર કોરિડોર માટે આશરે રૂ.26,000 કરોડનો ખર્ચ થશે. તેનાથી પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાત સહિતના ચાર રાજ્યોના અમૃતસર, ભટિન્ડા, સંગારિયા, બિકાનેર, સંચોર, સામખિયાલી, અને જામનગર જેવા શહેરોનું જોડાણ થશે. આ કોરિડોરથી ઉત્તર ભારતના ઔદ્યોગિક અને કૃષિ કેન્દ્રોને જામનગર અને કંડલા જેવા પશ્ચિમ ભારતના મુખ્ય પોર્ટસ સુધી જોડાણ મળશે. તેનાથી બડ્ડી, ભટિન્ડા અને લુધિયાણાના ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટમાં ઔદ્યોગિક ક્રાંતિ આવશે. દિલ્હી-અમૃતસર, કટરા એક્સપ્રેસથી જમ્મુ અને કાશ્મીરના ઉદ્યોગોને પણ લાભ થશે.