shutter speed. REUTERS/Amit Dave

ગુજરાતમાં ગુરૂવારે હોળી પર્વ શુક્રવારે ધૂળેટીની ધામધુમપૂર્વક અને શ્રદ્ધાભેર મનાવવામાં આવ્યું હતું. દરેક સોસાયટી, ફ્લેટ, શેરીઓ, ચાલીઓ અને હાઉસિંગની વસાહતોમાં કોમન ચોકમાં, રોડ પર તેમજ નાકા પર લાકડા, છાણાની ઢગલી કરીને મોડી સાંજે આસ્થાભેર હોળી પ્રગટાવવામાં આવી હતી. તમામ લોકોએ દર્શન કરીને, હોળીની ઝાળ લઇને ધન્યતા અનુભવી હતી.

હોળીના દિવસે ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. બધા જ લોકોએ સામુહિક રીતે હોળીકા દહન કરીને સત્યના વિજયની ઉજવણી કરી હતી. આસુરી શક્તિનો નાશ થાય છે, સત્યનો વિજય થાય છે તેવા ભાવ સાથે લોકોએ હોળી માતાની ફરતે લોટામાં પાણી ભરીને પ્રદક્ષિણા કરી હતી.

હોળીમાં નારિયેળ,ધાણી, ખજૂરને હોમવામાં આવ્યા હતા. બાળકો , વૃદ્ધો, મહિલાઓ, પુરૂષો સહુ કોઇ સાથે મળીને હોળી માતાના દર્શન કરીને, બે હાથ જોડીને સુખ-શાંતિ અને પરિવારના સારા આરોગ્યની કામના કરી હતી. હોળીની ઝાળથી તમામ પ્રકારના રોગ શરીરમાંથી દુર થાય છે. શરીર સ્વસ્થ, મજબૂત બને છે. શરીરમાંનો આત્મા શુદ્ધ થાય છે.
હોળાષ્ટકની પણ સમાપ્તિ થતાં હવે લગ્ન, વાસ્તુ આદિ માંગલિક કાર્યો કરી શકાશે. હોળીની જ્વાળાનો ધૂમાડો કઇ દિશામાં જાય છે તેના પરથી ખગોળીય રીતે આગામી ચોમાસું કેવું રહેશે તેનો અંદાજ કાઢવામાં આવે છે. આ વખતે હોળીના પ્રાગટય વખતે ઈશાન અને પૂર્વ તરફ વાયુનો ઝોંક હતો, જે એકંદરે વરસાદ પૂરતા પ્રમાણમાં વરસે તેવું સૂચવે છે.