
મધ્ય-પૂર્વના ભીષણ યુદ્ધ વચ્ચે ભારતીય વિદેશપ્રધાન વિદેશપ્રધાન એસ. જયશંકરે આશા વ્યક્ત કરી છે કે ઈરાન સાથેની સતત વાતચીતને પરિણામે હોર્મુઝની સામુદ્રધુનીમાં ફસાયેલા ભારતીય જહાજો માટે રસ્તો સરળ બની રહ્યો છે.
‘ફાયનાન્શિયલ ટાઇમ્સ’ને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું હતું કે, ઈરાન સાથેના તેમના સંપર્કથી હકારાત્મક પરિણામો મળ્યા છે અને હજુ પણ અનેક ભારતીય જહાજો આ માર્ગમાંથી પસાર થવાના બાકી હોવાથી આ ચર્ચાઓ ચાલુ રહેશે.
જયશંકરે સ્પષ્ટ કર્યું હતું કે ભારતીય જહાજોને પસાર થવા દેવા માટે ઈરાન સાથે કોઈ ‘બ્લેન્કેટ એરેન્જમેન્ટ’ (સામૂહિક સમજૂતી) કરાઈ નથી, પરંતુ દરેક જહાજને વ્યક્તિગત ધોરણે મંજૂરી મળી રહી છે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ કોઈ લેવડ-દેવડનો મુદ્દો નથી, પરંતુ ભારત અને ઈરાન વચ્ચેના ઐતિહાસિક સંબંધોનો પ્રભાવ છે. તેમણે કહ્યું હતું કે, “ભારત અને ઈરાન વચ્ચે મજબૂત સંબંધો છે અને અમે આ યુદ્ધને અત્યંત કમનસીબ માનીએ છીએ.”
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈરાની પ્રમુખ મસૂદ પેઝેશિયન વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીતના ગણતરીના કલાકોમાં જ ઈરાને ભારતના બે LPG જહાજોને સુરક્ષિત રીતે પસાર થવાની મંજૂરી આપી હતી.
અહેવાલો અનુસાર, હજુ પણ પર્શિયન ગલ્ફના પશ્ચિમ ભાગમાં ભારતના ૨૨ જહાજો ફસાયેલા છે. તેમણે આ બાબતે ભારતનો અભિગમ યુરોપિયન યુનિયન સાથે શેર કરવાની તૈયાર બતાવી હતી. બીજી તરફ, ઈરાને ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે હોર્મુઝની સામુદ્રધુની માત્ર અમેરિકા અને ઈઝરાયેલના જહાજો માટે જ બંધ છે, અન્ય દેશ માટે તે ખુલ્લી છે.
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ સાથી દેશો પર આ માર્ગની સુરક્ષા માટે દબાણ કર રહ્યાં છે, ત્યારે ભારતની આ મુત્સદીગીરી અત્યંત મહત્વની સાબિત થઈ રહી છે. જોકે સોમવારે મોડેથી મળતા કેટલાક અહેવાલો મુજબ ઈરાન-ભારતમાં જપ્તી હેઠળના તેના ત્રણ ટેન્કર જહાજો પણ મુક્ત કરવાની માંગણી કરી છે. આ વાતને એકેય દેશે સત્તાવાર રીતે પુષ્ટિ કરી નથી.













