ન્યૂ જર્સીના રોબિન્સવિલે ખાતેના BAPS સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરનું આંતરિક દ્રશ્ય, જે અમેરિકાનું સૌથી મોટું હિન્દુ મંદિર છે અને તેનું ઉદ્ઘાટન 8મી ઓક્ટોબરે થવાનું છે.. (ANI Photo)

ન્યૂજર્સીના રોબિન્સવિલે ખાતે BAPS સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરના નવ દિવસના ઉદ્ઘાટન સમારંભનો પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં 30 સપ્ટેમ્બરથી પ્રારંભ થયો છે. આ મહત્વપૂર્ણ અવસરે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યુકેના વડા પ્રધાન ઋષિ સુનકને શુભેચ્છા અને સમર્થન આપ્યું છે.

વૈશ્વિક સ્તરે BAPS સ્વામિનારાયણ અક્ષરધામ હિન્દુ કલા, સ્થાપત્ય અને સંસ્કૃતિના સીમાચિહ્નો બન્યાં છે. તેઓ આધ્યાત્મિક અને સામુદાયિક કેન્દ્ર તરીકે સેવા આપે છે, જે તમામ ધર્મો અને પૃષ્ઠભૂમિના લોકો માટે ખુલ્લા છે. ન્યુ જર્સીમાં આવેલ અક્ષરધામ વૈશ્વિક સ્તરે આ પ્રકારનું ત્રીજું સાંસ્કૃતિક સંકુલ છે. સૌપ્રથમ અક્ષરધામ 1992માં ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં બનાવવામાં આવ્યું હતું, ત્યારબાદ 2005માં નવી દિલ્હીમાં અક્ષરધામનું ભવ્ય નિર્માણ કરાયું હતું.

વિશ્વભરના અગ્રણી નેતાઓએ આ સંકુલોની મુલાકાત લઇને તેની પ્રશંસા કરી છે, જેમાં પ્રેસિડન્ટ બિલ ક્લિન્ટન (ગાંધીનગર, 2001), રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામ (નવી દિલ્હી, 2005), રાજા ચાર્લ્સ III (નવી દિલ્હી, 2013), પ્રેસિડન્ટ જેયર બોલ્સોનારો (નવી દિલ્હી, 2013) વગેરેનો સમાવેશ થાય છે.

29 સપ્ટેમ્બર 2023એ પાઠવેલા હૃદયસ્પર્શી પત્રમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂ જર્સીમાં અક્ષરધામની ઉદઘાટન સમારંભની ઉજવણીના પ્રસંગે તેમનો આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે “મને રોબિન્સવિલે, ન્યુ જર્સીમાં અક્ષરધામ મહામંદિરના ઉદઘાટનની ઉજવણી વિશે જાણીને આનંદ થયો છે. તે વિશ્વભરના ભક્તોના વિશાળ સમુહ માટે ગહન આધ્યાત્મિક મહત્વનો પ્રસંગ છે.”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘણીવાર અક્ષરધામ સંકુલોની મુલાકાત લીધી છે અને દાયકાઓથી સમાજમાં યોગદાનની પ્રશંસા કરી છે. 2017માં મોદી અક્ષરધામ, ગાંધીનગરની રજત જયંતી ઉજવણી સમારંભમાં સામેલ થયા હતા તથા પરમ પવિત્ર પ્રમુખ સ્વામી મહારાજના નેતૃત્વ, સ્વયંસેવકોની નિઃસ્વાર્થ સેવા અને BAPS દ્વારા હાથ ધરવામાં આવેલા માનવતાવાદી રાહત કાર્યોની પ્રશંસા કરી હતી.

વડાપ્રધાન મોદીએ પોતાના પત્રમાં જણાવ્યું હતું કે આ મંદિરો સદીઓથી સેવા અને સામાજિક-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર બન્યાં છે. આ સંકુલો માત્ર ભક્તિના કેન્દ્રો નથી પણ કલા, સ્થાપત્ય શ્રેષ્ઠતા, સાહિત્ય અને જ્ઞાનને અભિવ્યક્તિ આપવા માટે પ્લેટફોર્મ તરીકે પણ સેવા આપે છે. આવા ગહન સાંસ્કૃતિક સિદ્ધાંતો પેઢીઓથી માનવતાને માર્ગદર્શન આપી રહ્યા છે…અક્ષરધામ મહામંદિરના ઉદ્ઘાટનની ઉજવણી ભારતીય સ્થાપત્યની શ્રેષ્ઠતા અને આપણી ભવ્ય પ્રાચીન સંસ્કૃતિ અને નૈતિકતા દર્શાવે છે…આ ઉદ્ઘાટન આ પ્રયાસની શુભતા અને મહત્વને વધારશે. BAPS સ્વામિનારાયણ સંસ્થાના દરેકને અને આ પહેલ સાથે સંકળાયેલા તમામને શુભેચ્છાઓ.

સપ્ટેમ્બર 2023માં યુકેના વડા પ્રધાન ઋષિ સુનકે અક્ષરધામ, નવી દિલ્હીની મુલાકાત લીધી હતી. સુનકે જણાવ્યું હતું કે “અમે આ મંદિરની સુંદરતા તેમજ તેના શાંતિ, સંવાદિતા અને વધુ સારા માનવ બનવાના વૈશ્વિક સંદેશથી આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ માત્ર પૂજાનું સ્થળ નથી, પરંતુ એક સીમાચિહ્ન છે, જે ભારતના મૂલ્યો, સંસ્કૃતિ અને વિશ્વમાં યોગદાનને પણ દર્શાવે છે.” BAPSના આધ્યાત્મિક વડા મહંત સ્વામી મહારાજના આશીર્વાદ મેળવ્યા પછી વડા પ્રધાન ઋષિ સુનકે ટિપ્પણી કરી હતી કે “…હું જાણું છું કે પરમ પૂજ્ય બહુ જલ્દી યુએસએના રોબિન્સવિલેમાં બીજા સુંદર સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરનું ઉદ્ઘાટન કરી રહ્યા છે. હું પરમ પવિત્ર અને BAPSના તમામ ભક્તોને ઉદઘાટન પહેલા મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ મોકલવા માંગુ છું.”

રોબિન્સવિલે, NJમાં અક્ષરધામનો બહુ-અપેક્ષિત ભવ્ય સમર્પણ સમારોહ 8મી ઓક્ટોબરે નિર્ધારિત છે, જે સમગ્ર ઉત્તર અમેરિકામાં 12,500થી વધુ સ્વયંસેવકો દ્વારા સમર્પણના 12 વર્ષ પછી એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.

LEAVE A REPLY

three + seventeen =