પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતમાં સોમવારે કોરોના વાઇરસના નવા 1,52,734 કેસ નોંધાયા હતા, જે છેલ્લાં 50 દિવસમાં સૌથી ઓછા છે. જોકે એક દિવસમાં 3,128 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 3,29,100 થયો હતો. એક્ટિવ કેસની સંખ્યા પણ ઘટીને 20.26 લાખ થઈ હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સોમવારે સવારે આઠ વાગ્યે જારી કરેલા ડેટા મુજબ છેલ્લાં 24 કલાકમાં નવા 1,52,734 કેસ સાથે કુલ કેસનો આંકડો વધીને 2,80,47,534 થયો હતો. જોકે રિકવર થયેલા દર્દીઓની સંખ્યા નવા દર્દીઓ કરતાં સતત 18માં દિવસે વધુ રહી હતી. છેલ્લાં 24 કલાકમાં 2,38,022 લોકો કોરોનાથી રિકવર થતાં અત્યાર સુધી રિકવર થયેલા લોકોની સંખ્યા વધીને 2,56,92,342 થઈ હતી. કોરોનાનો મૃત્યુદર 1.17 ટકા રહ્યો હતો.

દેશમાં રવિવારે 16,83,135 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તેનાથી કુલ કોરોના ટેસ્ટની સંખ્યા વધીને 34,48,66,883 થઈ હતી. ડેઇલી પોઝિટિવિટી રેટ ઘટીને 9.07 ટકા થયો હતો, જે સતત સાતમાં દિવસે 10 ટકાથી નીચો રહ્યો હતો. દેશમાં સોમવાર સુધીમાં એક્ટિવ કેસની સંખ્યા 20,26,092 થઈ હતી, જે કુલ કેસના 7.22 ટકા છે, જ્યારે રાષ્ટ્રીય કોરોના રિકવરી રેટ સુધરીને 91.60 થયો હતો.

દેશમાં થયેલા 3,128 મોતમાંથી મહારાષ્ટ્રમાં 814, તમિલનાડુમાં 493, કર્ણાટકમાં 381, કેરળમાં 186, પશ્ચિમ બંગાળમાં 142, ઉત્તરપ્રદેશમાં 138 અને પંજાબમાં 127ના મોત થયા હતો.