: PTI

ભારતમાં સોમવારે કોરોના વાઇરસના નવા 1.27 લાખ કેસ નોંધાયા હતા, જે છેલ્લાં 54 દિવસમાં સૌથી ઓછા છે. આ નવા કેસ સાથે કોરોનાના કુલ કેસનો આંકડો વધીને 2.81 કરોડ થયો હતો, જેમાંથી આશરે 2.59 કરોડ લોકો અત્યાર સુધી રિકવર થયા છે. દેશમાં સતત 19માં દિવસે કોરોનાના નવા કેસ કરતાં રિકવર કેસની સંખ્યા વધુ રહી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે સવારે આઠ વાગ્યે જારી કરેલા ડેટા મુજબ દેશમાં છેલ્લાં 24 કલાકમાં 2,795 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 3,31,895 થયો હતો. મોતનો દૈનિક આંકડો 35 દિવસમાં સૌથી નીચો હતો. એક્ટિવ કેસની સંખ્યા 43 દિવસ પછી 20 લાખથી ઓછી રહી છે. જોકે મૃત્યુદર વધીને 1.18 ટકા થયો હતો.

સોમવારે આશરે 19.25 લાખ કોરોના ટેસ્ટ થયા હતા. ડેઇલી પોઝિટિવિટી રેટ 6.62 ટકા થયો હતો, જે સતત આઠમાં દિવસે 10 ટકાથી નીચો રહ્યો હતો. દેશમાં સોમવાર સાંજ સુધીમાં એક્ટિવ કેસની સંખ્યા આશરે 18.95 લાખ રહી હતી, જે કુલ કેસના આશરે 6.73 ટકા છે. કોરોના રિકવરી રેટ વધીને 92.09 ટકા થયો હતો.  દેશમાં સોમવારે થયેલા કુલ 2,795 મોતમાંથી મહારાષ્ટ્રમાં 500, તમિલનાડુમાં 478, કર્ણાટકમાં 411, કેરળમાં 174, ઉત્તરપ્રદેશમાં 151, પશ્વિમ બંગાળમાં 131 અને પંજાબમાં 118ના મોત થયા હતા.