ગુજરાતમાંથી વિદેશમાં અભ્યાસ માટે જતાં વિદ્યાર્થીઓને કોરોના વેક્સિનેશનમાં પ્રાથમિકતા આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ અંગેની જાહેરાત કરતાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આગામી મહિનાઓમાં ગુજરાતના ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે વિદેશ જશે. આવા વિદ્યાર્થીઓને વિદેશ પ્રવાસમાં કોઈ મુશ્કેલી ઉભી ન થાય એ માટે વિધાર્થીઓને વૅક્સિનેશનમાં વિશેષ અગ્રતા અપાશે. આ માટે સમગ્ર રાજ્યમાં જિલ્લા કલેકટર્સને અને મહાનગરપાલિકા વિસ્તારોમાં મ્યુનિસિપલ કમિશનર્સને જવાબદારી સોંપવામાં આવી છે. વિદ્યાર્થીઓના હિતમાં રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. મુખ્યપ્રધાન રૂપાણીના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો હતો.