ભારતમાં કોરોના વાયરસનો આતંક ઘટવાના બદલે દિવસેને દિવસે વધી રહ્યો છે. કોરોનાના ચેપગ્રસ્તોની સંખ્યા સતત બમણી થઈરહી છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી સોમવારે સવારે જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે કોરોના દર્દીઓનો આંકડો ચાર હજારને ઓળંગી ગયો છે. ભારતમાં કોરોના વાયરસના કારણે અત્યારસુધીમાં 109 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 4067 લોકો આ સંક્રમણનો ભોગ બન્યા છે. તેમજ આ વાયરસમાંથી સ્વસ્થ થનારા લોકોની સંખ્યા 232 છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં 32 લોકોએ કોરોના વાયરસના કારણે કાળનો કોળિયો બન્યા છે જ્યારે 693 નવા કેસ નોંધાયા છે. કોરોના વાયરસના વધતા જતા કેસને ધ્યાનમાં રાખતા દેશમાં જાહેર કરાયેલું 21 દિવસનું લોકડાઉન 14 એપ્રિલ સુધી ચાલશે. નોંધનીય છે કે કોરોના વાયરસને રોકવા માટે પ્રશાસન દ્વારા શક્ય તમામ પ્રયત્ન કરાઈ રહ્યા છે.

રવિવારના રોજ સ્વાસ્થ્ય મંત્રાલય તરફથા જાહેર કહાયેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના સંક્રમણના કેસમાં 505 અને મૃત્યુઆંકમાં 11નો વધારો નોંધાયો હતો. આ સાથે જ રવિવારના રોજ કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 3577 મૃત્યુઆંક 83 સુધી પહોંચ્યો હતો.

નોંધનીય છે કે ચી, ઈટાલી, સ્પેન અને ઈરાન જેવા દેશ પછી હવે વિશ્વની મહાસત્તા અમેરિકા પણ કોરોના વાયરસના તાંડવનું ભોગ બન્યું છે. અમેરિકામાં કોરોનાગ્રસ્તોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અમેરિકાના સર્જન જનરલે આ અઠવાડિયું અમેરિકા માટે અત્યંત મુશ્કેલીભર્યું પસાર થશે તેવી આશંકા વ્યક્ત કરી છે.

તેમના જણાવ્યા અનુસાર અમેરિકામાં કોરોના ત્રીજા સ્ટેજમાં પહોંચી ચૂક્યું છે. અત્યાર સુધીમાં અમેરિકામાં અત્યાર સુધીમાં 3,47,000 લોકો કોરોના વાયરસની લપેટમાં આવી ચૂક્યા છે. જ્યારે 9600થી વધારે લોકો આ મહામારીના કારણે પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે.