કોરોના વાઈરસ મહામારીનું સંકટ જેમ જેમ વધી રહ્યુ છે સરકાર પોતાની રણનીતિમાં પરિવર્તન કરી રહી છે. દરેક જિલ્લા અને રાજ્યની વર્તમાન સ્થિતિ અનુસાર આગળનો માર્ગ તૈયાર કરાઈ રહ્યો છે. હવે આરોગ્ય મંત્રાલય તરફથી 3 મે બાદ એટલે કે આગામી અઠવાડિયા માટે જિલ્લાને અલગ-અલગ વહેંચીને કામ કરવામાં આવ્યુ છે.

દેશમાં હજુ પણ જિલ્લા રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં વહેંચેલા છે પરંતુ હવે આમાં મોટા પાયે પરિવર્તન થયુ છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કેસની સંખ્યા, ડબલિંગ રેટ અને ટેસ્ટિંગના હિસાબથી જિલ્લાની નવી યાદી તૈયાર કરાઈ છે. જેમાં જણાવાયુ છે કે કયા જિલ્લા કયા ઝોનમાં આવે છે અને કેવી રીતે કડક વલણ રખાશે.

નવા નિયમો અનુસાર, હવે જો કોઈ જિલ્લામાં 21 દિવસથી કોરોના વાઈરસનો કોઈ નવો કેસ ના નોંધાય તો તે ગ્રીન ઝોનમાં આવશે. પહેલા આ સમય 28 દિવસનો હતો. 3 મે બાદની યાદી માટે 130 જિલ્લા રેડ ઝોન, 284 ઓરેન્જ ઝોન અને 319 જિલ્લા ગ્રીન ઝોનમાં સામેલ કરાયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે હજુ પણ દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કોલકત્તા, હૈદરાબાદ, બેંગલુરૂ, અમદાવાદને રેડ ઝોનમાં રાખ્યા છે. આ સિવાય મહારાષ્ટ્રના 14, દિલ્હીના 11, તમિલનાડુના 12, ઉત્તર પ્રદેશના 19, બંગાળના 10, ગુજરાતના 9, મધ્ય પ્રદેશના 9, રાજસ્થાનના 8 જિલ્લા રેડ ઝોનમાં સામેલ છે.

બિહારના 20, ઉત્તર પ્રદેશના 36, તમિલનાડુના 24, રાજસ્થાનના 19, પંજાબના 15, મધ્ય પ્રદેશના 19, મહારાષ્ટ્રના 16 જિલ્લા ઓરેન્જ ઝોનમાં સામેલ છે. અસમના 30, છત્તીસગઢના 25, અરૂણાચલ પ્રદેશના 25, મધ્ય પ્રદેશના 24, ઓડિશાના 21, ઉત્તર પ્રદેશના 20, ઉત્તરાખંડના 10 જિલ્લા ગ્રીન ઝોનમાં સામેલ છે.

દિલ્હીના તમામ જિલ્લા રેડ ઝોનમાં છે, હરિયાણાના ગુરૂગ્રામ ઓરેન્જ અને ફરીદાબાદ રેડ ઝોનમાં છે. ઉત્તર પ્રદેશના ગૌતમબુદ્ધ નગર, મેરઠ, આગ્રા, સહારનપુર રેડ ઝોનમાં અને ગાઝિયાબાદ, હાપુડ, શામલી ઓરેન્જ ઝોનમાં છે. આ તમામ જિલ્લામાં રાજ્યો અનુસાર સમય સમય પર બદલાવ કરાશે.