ભારતમાં શુક્રવાર સુધીમાં નવા સંક્રમિત થયેલા દર્દીઓની સંખ્યા 3,32,730 નોંધાઇ છે. દેશમાં દૈનિક ધોરણે નવા નોંધાયેલામાંથી 75.01% દર્દીઓ મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, દિલ્હી, કર્ણાટક, કેરળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાન રાજ્યોમાંથી છે. મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધારે નવા દર્દીઓ નોંધાયા છે જ્યાં એક દિવસમાં વધુ 67,013 લોકો સંક્રમિત થયા છે. ત્યારપછીના ક્રમે, ઉત્તરપ્રદેશમાં એક દિવસમાં નવા 34,254 જ્યારે કેરળમાં 26,995 નવા કેસ નોંધાયા છે. બાર રાજ્યોમાં દૈનિક ધોરણે નવા નોંધાતા કેસોમાં સતત વૃદ્ધિ થઇ રહી છે. ભારતમાં દૈનિક ધોરણે પોઝિટીવિટી દર અને દૈનિક પરીક્ષણોની સંખ્યામાં વધારાનું વલણ જળવાઇ રહ્યું હોવાનું દર્શાવે છે. ભારતમાં કુલ સક્રિય કેસોનું ભારણ વધીને 24,28,616 સુધી પહોંચી ગયું છે. દેશમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોનો આંકડો 14.93% થઇ ગયો છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કુલ સક્રિય કેસોના ભારણમાં 1,37,188 દર્દીનો ચોખ્ખો વધારો થયો છે. ભારતમાં કુલ સક્રિય કેસોમાંથી 59.12% દર્દીઓ માત્ર પાંચ રાજ્યો એટલે કે, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ, કર્ણાટક અને કેરળમાં છે.
ભારતમાં આજદિન સુધીમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા શુક્રવાર સુધીમાં વધીને 1,36,48,159 સુધી પહોંચી ગઇ છે. રાષ્ટ્રીય સાજા થવાનો સરેરાશ દર 83.92% નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં વધુ 1,93,279 દર્દીઓ સાજા થયા છે. રાષ્ટ્રીય મૃત્યુદરમાં સતત ઘટાડો થઇ રહ્યો છે અને હાલમાં 1.15% નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 2,263 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. દૈનિક ધોરણે નોંધાયેલા મૃત્યુઆંકમાંથી 81.79% દર્દીઓ દસ રાજ્યોમાંથી છે. મહારાષ્ટ્રમાં મહત્તમ મૃત્યુઆંક (568) નોંધાયો છે. તે પછીના ક્રમે, દિલ્હીમાં એક દિવસમાં વધુ 306 દર્દીના મૃત્યુ નોંધાયા છે. સાત રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. આમાં, દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, ત્રિપુરા, મેઘાલય, મિઝોરમ, લક્ષદ્વીપ, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશ છે.