ભારતના કેટલાક રાજ્યોમાં કોવિડના નવા કેસોમાં દૈનિક ધોરણે તીવ્ર વધારો નોંધાઇ રહ્યો છે. દૈનિક ધોરણે નવા નોંધાયેલા કેસોમાંથી 80.63% કેસો માત્ર મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને છત્તીસગઢમાં જ છે. શુક્રવારે 39,726 નવા કેસોનો એક દિવસીય વધારો નોંધાયો છે.
મહારાષ્ટ્રમાં દૈનિક ધોરણે સતત સર્વાધિક નવા કેસો નોંધાવાનું ચાલું છે જ્યાં એક દિવસમાં નવા 25,833 કેસ નોંધાયા છે. દેશમાં દૈનિક ધોરણે નોંધાયેલા નવા કેસોમાંથી 65% દર્દી મહારાષ્ટ્રમાં નોંધાયા છે. તે પછીના ક્રમે, પંજાબમાં એક દિવસમાં વધુ 2,369 જ્યારે કેરળમાં નવા 1,899 કેસ નોંધાયા છે. આઠ રાજ્યોમાં દૈનિક નવા કેસોની સંખ્યામાં સતત વધતો આલેખ જોવા મળી રહ્યો છે.
તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે કેન્દ્ર સરકાર ખૂબ સક્રિયપણે જોડાયેલી છે અને ખાસ કરીને જ્યાં દૈનિક ધોરણે નવા કેસોની સંખ્યા વધુ નોંધાઇ રહી છે અને જ્યાં સક્રિય કેસોનું ભારણ વધારે છે તેમના પર વિશેષ નજર છે. કેન્દ્ર સરકાર નિયમિત ધોરણે તેમની સાથે કોવિડના નિયંત્રણ અને જાહેર આરોગ્યના પગલાંઓની સ્થિતિની સમીક્ષા કરે છે.
તાજેતરમાં, મહારાષ્ટ્ર અને પંજાબમાં નવા કેસોમાં નોંધાઇ રહેલા તીવ્ર વધારાને ધ્યાનમાં રાખીને, તાજેતરમાં કેન્દ્ર દ્વારા આ રાજ્યોમાં કોવિડ-19ના નિયંત્રણ અને કન્ટેઇન્મેન્ટના પગલાંમાં મદદરૂપ થવા માટે ઉચ્ચ સ્તરીય જાહેર આરોગ્ય ટીમનો નિયુક્ત કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા અગાઉ મહારાષ્ટ્ર, કેરળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ગુજરાત, પંજાબ, કર્ણાટક, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ તેમજ જમ્મુ અને કાશ્મીરમાં કોવિડ-19ના કેસોમાં થયેલી ઝડપી વૃદ્ધિ સામે લડત આપીને તેને નિયંત્રણમાં લાવવામાં મદદરૂપ થવાના ઉદ્દેશથી ઉચ્ચ સ્તરીય ટીમો નિયુક્ત કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારની ટીમોના અહેવાલો રાજ્યોને સોંપવામાં આવ્યા હતા જેથી તેઓ આગળ ફોલોઅપના પગલાં લઇ શકે. રાજ્યો દ્વારા લેવામાં આવતા ફોલોઅપ અને અનુપાલન પર કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દેખરેખ રાખે છે.
ભારતમાં આજે કુલ સક્રિય કેસોનું ભારણ 2.71 લાખ (2,71,282) નોંધાયું છે જે દેશમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસોમાંથી 2.82% છે. છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોની સંખ્યામાં 18,918 દર્દીનો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે. ભારતમાં કુલ સક્રિય કેસોમાંથી 76.48% દર્દીઓ ત્રણ રાજ્યો- મહારાષ્ટ્ર, કેરળ અને પંજાબમાં છે.
શુક્રવાર સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલો પ્રમાણે દેશમાં આજદિન સુધીમાં કુલ 6,47,480 સત્રોનું આયોજન કરીને રસીના લગભગ 4 કરોડ (3,93,39,817) ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં રસીકરણ કવાયતના 62મા દિવસે (18 માર્ચ 2021) રસીના 22 લાખથી વધારે (22,02,861) ડોઝ આપવામાં આવ્યા હતા. આમાં, કુલ 32,128 સત્રો યોજીને 18,32,287 લાભાર્થીને પ્રથમ ડોઝ (HCWs અને FLWs) જ્યારે 3,70,574 HCWs અને FLWsને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. ભારતમાં શુક્રવારે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1,10,83,679 નોંધાઇ છે. સરેરાશ રાષ્ટ્રીય સાજા થવાનો દર 96.56% છે.
16 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. આમાં, આંધ્રપ્રદેશ, ચંદીગઢ, ઓડિશા, ઉત્તરાખંડ, ઝારખંડ, લક્ષદ્વીપ, સિક્કિમ, મેઘાલય, દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, નાગાલેન્ડ, ત્રિપુરા, લદાખ (કેન્દ્રશાસિત પ્રદેશ), મણીપુર, મિઝોરમ, આંદામાન અને નિકોબારના ટાપુઓ અને અરુણાચલપ્રદેશ છે.