(@PiyushGoyal/X via PTI Photo)

ભારત અને યુએઈએ આગામી 3-4 વર્ષમાં ક્રૂડ ઓઇલ અને કિંમતી ધાતુઓ સિવાયના બંને દેશો વચ્ચેના વેપારને બમણો એટલે કે 100 અબજ ડોલર કરવાનો ટાર્ગેટ નિર્ધારિત કર્યો છે. હાલમાં બંને દેશો વચ્ચે વેપાર આશરે 50થી 55 અબજ ડોલર છે.

વેપાર અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યુ હતું કે બંને પક્ષોએ યુએઈની રોકાણ શક્તિ અને ભારતના પ્રતિભા પૂલનો ઉપયોગ કરીને આફ્રિકા અને GCC (ગલ્ફ કો-ઓપરેશન કાઉન્સિલ) જેવા પ્રદેશોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા વિવિધ ક્ષેત્રોમાં રોકાણ કરવા માટેની કાર્યપદ્ધતિ નક્કી કરવાનો પણ નિર્ણય કર્યો છે.

રોકાણો અંગેના ભારત-યુએઈ ઉચ્ચ-સ્તરીય સંયુક્ત ટાસ્ક ફોર્સની અબુ ધાબીમાં 13મી બેઠક દરમિયાન આ મુદ્દા પર ચર્ચાવિચારણા કરાઈ હતી. આ બેઠક પીયૂષ ગોયલ અને અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટીના એમડી શેખ હમેદ બિન ઝાયેદ અલ નાહ્યાની વડપણ હેઠળ યોજાઈ હતી.

આ બેઠક પછી ગોયલે જણાવ્યું હતું કે અમે આગામી 3-4 વર્ષમાં ક્રૂડ ઓઇલ અને કિંમતી ધાતુઓ સિવાયના બંને દેશો વચ્ચેના વેપારને બમણો એટલે કે 100 અબજ ડોલર કરવાનો ટાર્ગેટ નિર્ધારિત કર્યો છે. બંને પક્ષોએ પરસ્પર વિકાસને વેગ આપવા માટે ખાસ કરીને દરિયાઈ, સંરક્ષણ, એરોસ્પેસ અને અવકાશ ક્ષેત્રોમાં રોકાણ અને સહયોગની પણ ચર્ચાવિચારણા કરી હતી. બંને દેશો વચ્ચે સ્થાનિક ચલણોમાં વેપારમાં પણ વધારો થઈ રહ્યો છે.

સ્થાનિક ચલણોમાં વેપારથી વેપારીઓના ખર્ચમાં ઘટાડો થાય છે અને વેપારની સરળતા પણ વધે છે. હાલમાં ગોયલના વડપણ હેઠળ ભારતનું 70 સભ્યોનું બિઝનેસ પ્રતિનિધિમંડળ યુએઇમાં છે.

LEAVE A REPLY