વોશિંગ્ટન ડીસીમાં 15 ઓગસ્ટ, 2023એ ઈન્ડિયા હાઉસ ખાતે ધ્વજવંદન સમારોહનું આયોજન કરીને ભારતના 77મો સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઈ હતી. આ સમારોહમાં સંખ્યાબંધ ભારતીયો, ડાયસ્પોરા સભ્યો, વિદ્યાર્થીઓ અને ભારતના મિત્રોએ હાજરી આપી હતી.

અમેરિકા ખાતેના ભારતના રાજદૂત તરનજિત સિંહ સંધુએ વોશિંગ્ટન ડી.સી.માં મહાત્મા ગાંધી સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પછી તેમણે ઈન્ડિયા હાઉસ ખાતે ત્રિરંગો ફરકાવ્યો હતો, રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું. ભારતના 77મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ પ્રેસિડન્ટ કરેલા રાષ્ટ્રજોગ સંબોધનને પણ રજૂ કરાયું હતું.

આ પ્રસંગે રાજદૂતે જણાવ્યું હતું કે ભારત-યુએસ સંબંધોનો મુખ્ય આધારસ્તંભ 4.4 મિલિયન ઇન્ડિયન ડાયસ્પોરા છે, જેમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં 200,000 ભારતીય વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. તેમની પ્રતિભા, ઉદ્યોગસાહસિકતા અને ઇનોવેશન ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ બંનેની સમૃદ્ધિમાં ફાળો આપે છે અને બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

આ પ્રસંગે ગાંધર્વ સ્કૂલ ઓફ મ્યુઝિકના યુવા ભારતીય ડાયસ્પોરા દ્વારા ભારતની વિવિધતાને દર્શાવતા દેશભક્તિના ગીતોની પ્રસ્તુતિ સાથેનો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. દૂતાવાસે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની થીમ પર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરીને તેના વિજેતાઓને સન્માનિત કર્યાં હતા.

LEAVE A REPLY

5 × 4 =