ભારતની ઇન્ડિગો એરલાઇનના સીઇઓ પીટર્સ એલબર્સે શુક્રવારે નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે, વર્તમાન નાણાકીય વર્ષમાં તેઓ લંડન, માન્ચેસ્ટર સહિત અન્ય આઠ શહેરોમાં કુલ 10 સીધી ફ્લાઇટ શરૂ કરશે. આ અન્ય શહેરોમાં એથેન્સ, એમ્સ્ટરડેમ, કોપેનહેગન, સીમ રીપ (કંબોડિયા) અને સેન્ટ્રલ એશિયાના ચાર શહેરોનો સમાવેશ થાય છે.
તેમણે જણાવ્યું હતું કે, આ જુલાઇમાં લીઝ પર લીધેલા બોઇંગ 787-9 વિમાનની સાથે મુંબઇથી માન્ચેસ્ટર અને એમ્સ્ટરડેમની સીધી ફ્લાઇટ શરૂ કરાશે. આ સર્વિસીઝ સાથે યુકેના શહેર માટેની લાંબા અંતરની ફ્લાઇટની પણ શરૂઆત થશે. 10 બિલિયન ડોલરની આવક ધરાવતી ઇન્ડિગો કંપની અત્યારે 90થી વધુ ડોમેસ્ટિક અને અને 40 ઇન્ટરનેશનલ શહેરોમાં ફ્લાઇટ્સનું સંચાલન કરે છે. કંપની દરરોજ 430થી વધુ વિમાનો દ્વારા 2300થી વધુ ફ્લાઇટ્સનું સંચાલન કરે છે.
એલબર્સે વધુમાં જણાવ્યું હતું કે, એરલાઇન ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સની સંખ્યા વધારી રહી છે, ભારતને કનેક્ટિંગ ફ્લાઇટ્સ માટે એક શ્રેષ્ઠ કેન્દ્ર બનાવવાની પણ એક મોટી તક છે.
અત્યારે, વિવિધ ભારતીય એરલાઇન કંપનીઓ ભારતના ઇન્ટરનેશનલ ટ્રાફિકમાં 45 ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે બાકીનો 55 ટકા હિસ્સો વિદેશી એરલાઇન્સ પાસે છે.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ઇન્ડિગો એરલાઇનમાં મહિલા પાઇલટ્સની સંખ્યા સૌથી વધુ છે, જે કુલ પાઇલટ્સની સંખ્યાના લગભગ 15 ટકા છે. આ ઉપરાંત ઇન્ડિગો જૂનમાં નવી દિલ્હીમાં ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (IATA)ની 81મી વાર્ષિક સામાન્ય સભા (AGM )ની પણ યજમાની કરશે. આ સભા 42 વર્ષ પછી ભારતમાં યોજાઈ રહી છે.
