Getty Images)

ભારતે હવે કેટલીક વિદેશી એરલાઈન્સને પણ દ્વિપક્ષી ધોરણે ભારત આવવા મંજુરી આપી છે ત્યારે દિલ્હી આવતા આવા તમામ આંતરરાષ્ટ્રીય પેસેન્જર્સ માટે સરકારે હાલના સંજોગોમાં નક્કી કરેલા નિયમો મુજબ તેઓ પોતાના ખર્ચે સાત દિવસ સંસ્થાકિય ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે અને અને તે પછી એક સપ્તાહ હોમ ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે.

એરપોર્ટ ઓથોરિટી દ્વારા જારી કરાયેલી તાજા માર્ગદર્શિકા મુજબ, બધા જ ઈન્ટરનેશનલ પેસેન્જર્સે એવા બાહેંધરી પત્ર ઉપર સહી કરવાની રહેશે કે, તેઓ આ જવાબદારી સ્વિકારે છે (પોતાના ખર્ચે સાત દિવસ ઈન્સ્ટીટ્યુશનલ ક્વોરેન્ટાઈનમાં રહેવાની), તે બાહેંધરી પત્ર ભારતના વિદેશી મિશન/એમ્બેસી પાસે જમા રહેશે અને પછી જ તેમના વિમાન પ્રવાસનું બુકિંગ કન્ફર્મ કરાશે.

તે ઉપરાંત, ભારતમાં આવ્યા પછી દિલ્હી કે એનસીઆર (નેશનલ કેપિટલ રીજન) વિસ્તારમાં રોકાણનું આયોજન ધરાવતા હોય તેવા ઈન્ટરનેશનલ પેસેન્જર્સે ફરજીયાત હેલ્થ સ્ક્રીનિંગ કરાવવાનું રહેશે, જેમાં પહેલા એરપોર્ટ ખાતે હેલ્થ અધિકારીઓ દ્વારા સ્ક્રીનિંગ કરાશે અને તે પછી દિલ્હી સરકારની પોસ્ટ ખાતે સેકન્ડરી સ્ક્રીનિંગ કરાશે અને તે પછી જ તેમને માન્ય ક્વોરેન્ટાઈનના સ્થળે જવા દેવાશે.

પ્રેગનેન્ટ મહિલાઓ, પરિવારમાં કોઈનું મૃત્યુ થયું હોય તેવા લોકો, ગંભીર બિમારીથી પિડાતા હોય તેવા લોકો તથા જેમની સાથે 10 વર્ષથી ઓછી વયના બાળકો પણ હોય તેવા પેસેન્જર્સને માટે જ આ નિયમોમાં અપવાદરૂપે છુટછાટ રહેશે. એ માટે તેઓએ તેઓએ જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથેનું બાહેંધરીનું ફોર્મ ઈમેઈલથી [email protected]ને મોકલવાનું રહેશે.

દિલ્હી આવતા તમામ ડોમેસ્ટિક પેસેન્જર્સે બહાર નિકળવાના ગેટ્સ (એક્ઝિટ ગેટ્સ) ખાતે ફરજીયાત થર્મલ સ્ક્રીનિંગ કરાવવાનું રહેશે અને જે લોકોને કોવિડ-19ના કોઈ ચિહ્નો નહીં જણાય (એસીમ્પ્ટોમેટિક), તેમને જ એરપોર્ટના વિસ્તારમાંથી બહાર નિકળવા દેવાશે. તેઓએ પણ સાત દિવસ માટે હોમ ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે.

દિલ્હી થઈને ફલાઈટમાં જ અન્ય સ્થળે જવાના હોય તેવા ટ્રાન્ઝિટ પેસેન્જર્સે તેઓ પોતાની બીજી ફલાઈટ પકડે તે પહેલા બન્ને સ્થળે – એન્ટ્રી અને એક્ઝિટ ગેટ્સ ખાતે ટેમ્પરેચર ચેક કરાવવાના રહેશે.

‘વંદે ભારત મિશન’ હેઠળની ઈન્ટરનેશનલ ફલાઈટમાં આવતા પેસેન્જર્સને કનેક્ટીંગ ડોમેસ્ટિક ફલાઈટમાં તો જ પ્રવાસ કરવા દેવાશે, જો તે વંદે ભારત મિશન હેઠળની હશે. અને વંદે ભારત મિશન સિવાયની ફલાઈટ્સમાં આવતા પેસેન્જર્સને આગળની ડોમેસ્ટિક ફલાઈટમાં જવાનું હશે તેઓએ ઓથોરાઈઝડ એક્ઝમ્પ્શન સર્ટિફિકેટ મેળવવાનું રહેશે.