કાબુલમાં બે નવેમ્બરે થયેલા ત્રાસવાદી હુમલાના સ્થળ પાસે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. (REUTERS/Omar Sobhani)

કાબુલ યુનિવર્સિટીમાં સોમવારે ત્રાસવાદી હુમલો કર્યો ઓછામાં ઓછા 20 વિદ્યાર્થીના મોત થયા હતા, જ્યારે 40 લોકોને ઈજા પહોંચી છે. હુમલાખોરોએ વિદ્યાર્થીઓને ટાર્ગેટ બનાવ્યા હતા અને ગોળીબાર શરૂ કરી દીધો હતો. હુમલાખોરો જ્યાં પણ વિદ્યાર્થીઓને જોતા હતા ત્યાં ફાયરિંગ કરતા હતા. 3 બંદુકધારીઓએ અંધાધુંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને હુમલાખોરો અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર થયો હતો. સુરક્ષાદળોએ ત્રણ હુમલાખોરોને ઠાર માર્યા હતા.

સ્થાનિક મીડિયાના અહેવાલ પ્રમાણે યુનિવર્સિટીમાં બુક એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવી રહ્યું હતું, જેમાં અનેક લોકો ભાગ લેવા જઈ રહ્યા હતા ત્યારે બંદૂકધારીઓએ આ હુમલો કર્યો હતો. મળતી માહિતી પ્રમાણે આ બુક એક્ઝિબિઝનમાં ઈરાનના રાજદૂત બહદોર એમિનિયન અને સાંસ્કૃતિક બાબતના નેતા મોજતાબા નોનૂઝી ભાગ લેવાના હતા. અફઘાનિસ્તાનના આંતરિક બાબતોના મંત્રાલયના પ્રવક્તા તારીક અરીયને કહ્યું છે કે અફઘાનિસ્તાનના દુશ્મનો, શિક્ષણના દુશ્મનો કાબુલ યુનિવર્સિટીમાં પ્રવેશ કર્યો હતો. યુનિવર્સિટીના ઉત્તર ભાગમાં આવેલા ગેટ પર વિસ્ફોટ થયા બાદ ગોળીબાર શરૂ થઈ ગયો હતો. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ બચવા માટે ભાગદોડ કરી હતી. અંદર ફસાયેલા વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી રહ્યા છે.