BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટીઝ બોર્ડના ચેરમેન ડો. મયંકભાઇ શાહ અને રાકેશભાઇ શાહના માતુશ્રી તેમજ ડો. રમણભાઇ શાહના ધર્મપત્ની શ્રીમતી કાંતાબેન શાહનું રવિવાર તા. 7 ફેબ્રુઆરી 2021ના ​​રોજ 86 વર્ષની વયે બ્રેઇન હેમરેજના કારણે ઘરે શાંતિપૂર્ણ અવસાન થયું છે.

સ્વ.કાંતાબેન આર.શાહનો જન્મ 1934 માં ગુજરાતના બોરસદમાં થયો હતો અને 1958માં પતિ, સ્વ. ડૉ. રમણભાઇ બી. શાહ સાથે તેઓ ટાન્ઝાનિયાના મ્વાન્ઝા ગયા હતા. તેઓ કારકીર્દિમાં આગળ વધતાં તેમના બે પુત્રો મયંક અને રાકેશને ટેકો આપવા માટે સંપૂર્ણપણે સમર્પિત હતા.

સ્વ. કાંતાબેન અને તેમનો પરિવાર 1959માં મ્વાન્ઝા, ટાંઝાનિયામાં સત્સંગમાં જોડાયા હતા અને તેમણે મ્વાન્ઝા સત્સંગ મંડળમાં ખૂબ જ સારી સેવા પૂરી પાડી હતી. 1971માં પરિવાર સાથે લંડન સ્થાયી થયા બાદ તેમણે પ્રથમ ઇસ્લિંગ્ટન મંદિર અને ત્યારબાદ મેડો ગાર્થ અને છેલ્લે નીસ્ડન શિખરબદ્ધ મંદિરમાં મહિલા સભા વિભાગના અગ્રણી તરીકે સેવાઓ આપી હતી. આ ઉપરાંત મહિલા વિભાગની વિવિધ ભૂમિકામાં પણ તેઓ સંકળાયેલા હતા. તેમને 1985માં CFI દરમિયાન તેમજ શાયોના કેટરિંગમાં સેવા આપવાનો લહાવો પણ મળ્યો હતો.

સ્વ. કાંતાબેનને બ્રહ્મસ્વરૂપ પૂ. યોગીજી મહારાજ, બ્રહ્મસ્વરુપ પૂ. પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ બ્રહ્મસ્વરુપ મહંત સ્વામી મહારાજનાં દર્શન અને આશીર્વાદનો લાભ મળ્યો હતો.

કમનસીબે, કોવિડ-19 રોગચાળાના પ્રતિબંધોને કારણે, શુભેચ્છકો અને મિત્રો પરિવારના ઘરે મુલાકાત લઇ શકશે નહિં અને અંતિમવિધિ સમારોહમાં હાજરી આપી શકશે નહિં. અ. નિ. કંતાબેનના કુટુંબીજનોએ  નમ્રતાપૂર્વક દરેકને પોતાના ઘરે પ્રાર્થના કરવા વિનંતી કરી છે.