યુકેમાં એક દાયકા કરતા પણ વધારે સમય પહેલાં 35 વર્ષની મિશેલ સમરવીરા નામની મહિલા પર બળાત્કાર કરી તેની હત્યા કરવાના અને અન્ય 32, 46 અને 59 વર્ષની ત્રણ મહિલાઓ પર બળાત્કાર કરવાના ગુના બદલ ગયા વર્ષે ભારતમાંથી પ્રત્યાર્પણ કરીને યુકે લવાયેલા 36 વર્ષીય અમન વ્યાસને ક્રોયડન ક્રાઉન કોર્ટ દ્વારા કુલ 37 વર્ષની સજા કરવામાં આવી હતી. જે પૈકી ઇંગ્લેન્ડ અને ભારતમાં ભોગવેલી સજા બાદ કરાયા બાદ તેને હજુ 34 વર્ષ અને 312 દિવસ જેલમાં રહેવું પડશે.

અમન વ્યાસને ગત તા. 30 જુલાઇના રોજ ઓલ્ડ બેઇલી કોર્ટ ખાતે સુનાવણી બાદ દોષીત ઠેરવવામાં આવ્યો હતો. આ ગુનાઓ અમન વ્યાસ 24 વર્ષનો હતો ત્યારે તેણે માર્ચથી મે 2009 દરમિયાન નોર્થ ઇસ્ટ લંડનમાં વૉલ્ધામસ્ટોના E17 પોસ્ટકોડ વિસ્તારમાં આચર્યા હતા અને વહેલી સવારે એકલી નીકળતી મહિલાઓને લક્ષ્ય બનાવતો હતો.

હત્યા કરાયેલી સમરવીરાની બહેન એન ચંદ્રદાસા (48)એ હત્યારા અમનને ‘ઘૃણાસ્પદ, અધમ અને સંપૂર્ણ ડુક્કર’ ગણાવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે ‘હું આશા રાખું છું કે એક દિવસ વ્યાસ પોતાના દિલથી કબૂલાત કરી નિર્દોષ મહિલાઓ પર આચરેલા ગુના માટે તે દુ:ખ અનુભવશે અને ખરેખર દિલગીરી વ્યક્ત કરશે. જો તે બળાત્કાર અને હત્યાના ગુનાની કબૂલાત કરવા તૈયાર હોય તો અમનની જેલમાં મુલાકાત લેશે એમ જણાવ્યું હતું.

અમને પૂરતા પુરાવા હોવા છતાં કોર્ટની સુનાવણી દરમિયાન સમરાવીરા સાથે સંમતિપૂર્ણ સંબંધ બાંધ્યો હોવાનું અને તેનું આકસ્મિક મૃત્યુ થયું હતું તેમ જણાવ્યું હતું.  જ્સ્ટીસ બ્રાયને અમનને સજા આપતા તેની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી.

પહેલી ઘટનામાં તા. 24-3-2009ના રોજ 59 વર્ષની મહિલા ઇલેક્ટ્રીક મીટરની કીમાં ટોપ અપ કરાવીને ઘરે પરત થતી હતી ત્યારે અમને મહિલાનો ફ્લેટ સુધી પીછો કરી મહિલાને તેના ફ્લેટમાં ધકેલી દઇ તેના ચહેરા પર મુક્કા મારી બળાત્કાર ગુજાર્યો હતો.

તા. 22-4-20ના રોજ બીજા હુમલામાં અમન વ્યાસે ફરવા નીકળેલી 46 વર્ષીય મહિલાનો સંપર્ક કરી તેને ડ્રગ લેવી છે તેમ જણાવ્યું હતુ. તે મહિલા તે માટે તૈયાર થઇ હતી. અમને પાછા ફરતા તે મહિલાને ગલીમાં લઇ જઇ છરી મારી બળાત્કાર ગુજાર્યો હતો અને ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો.

તેણે ત્રીજો હુમલો તા. 29-4-20ના રોજ લોકલ સુપરમાર્કેટમાંથી ઘરે પાછી વળતી 32 વર્ષીય મહિલા પર કર્યો હતો. તે મહિલા જડબા અને નાકના ફ્રેક્ચર તેમજ માથામાં વાગેલા ચાકુની સારવાર માટે એક મહિનાથી વધુ સમય સુધી હોસ્પિટલમાં હતી. તેને ઓઢાડવામાં આવેલા બ્લેન્કેટ પરથી મળેલા ડીએનએના આધારે આ બધા ગુના એક જ વ્યક્તિએ આચર્યા હોવાનું જણાયું હતું.

તેનો અંતિમ હુમલો 35 વર્ષીય વિધવા સમરવીરા પરનો હતો. પોસ્ટમોર્ટમ તપાસમાં માલૂમ પડ્યું હતું કે તેણીનું ગળું દબાવીને જાતીય હુમલો કરવામાં આવ્યો હતો. શનિવાર, તા. 30 મે 2009ના રોજ સીસીટીવી કેમેરામાં માર્કહાઉસ રોડની એક દુકાનમાંથી મિશેલ નાસ્તાની ખરીદી કરતા જણાઇ હતી. તે વખતે વ્યાસ દુકાનમાં જણાયો હતો. સમરવીરા દુકાન છોડીને ક્વીન્સ રોડ પર એક નાના પાર્કમાંથી ચાલતી જતી હતી ત્યારે લગભગ રાત્રે 1:30 કલાકે લોકોએ તેની ચીસો સંભળી હતી. જો કે પોલીસને બોલાવવામાં આવી ન હતી. બીજે દિવસે સવારે 5:15 વાગ્યે એક ડોગ વૉકરે સમરવીરાની લાશ ઓછા કપડામાં દેખી પોલીસ અને લંડન એમ્બ્યુલન્સ સર્વિસને બોલાવતા તેણીને ઘટના સ્થળે મૃત જાહેર કરાઈ હતી.

પોલીસે શંકાના આધારે પકડેલા 4 જણાને છોડી દીધા હતા. પોલીસ, સ્થાનિક વિસ્તારના 1,815 ઘરોમાં પૂછપરછ કરી 1,100 ડીએનએ સ્વેબ લીધા હતા. પોલીસે શંકાસ્પદ વ્યક્તિની ઇ-ફીટ તસવીરો, મીડિયા અપીલ, રોયલ મેઇલ દ્વારા 60,525 પોસ્ટરોની વૉલ્ધામસ્ટો વિસ્તારમાં વહેંચી હતી. જેમાં એક વ્યક્તિએ પહેરેલા વિશિષ્ટ જેકેટને આધારે શંકાસ્પદ વ્યક્તિ અમન વ્યાસ તેનો પૂર્વ કર્મચારી હોવાનું અને તે જુલાઈ, 2009માં દેશ છોડીને ભાગી ગયો હતો તેમ જણાવાયું હતું.

અમન વ્યાસના કુટુંબનો એક સભ્ય પણ ત્યાં જ કામ કરતો હોવાથી તેમા એમ્પલોયરે તે સગાએ પીધેલા પાણીની બોટલ પોલીસને આપી હતી. જેના પરથી મળેલા ડીએનએના આધારે તેમના અને વ્યાસના ડીએનએમાં પારિવારિક સામ્યતા જણાઇ હતી.

મેટ પોલીસના ડિટેક્ટીવ સાર્જન્ટ શાલીના શેખે જણાવ્યું હતું કે, “આ કેસમાં ન્યાય માટે લાંબી રાહ જોવામાં આવી હતી પરંતુ આખરે પીડિતો અને તેમના પરિવારો જવાબદાર વ્યક્તિને સજા થતી જોઇ આનંદ થાય છે.’’

10 વર્ષ પહેલાં વ્યાસને શોધવા શરૂ થયેલી તપાસમાં 2011 માં પોલીસ પૂછપરછમાં એક તબક્કે જાહેર થયું હતું કે વ્યાસ ન્યુઝીલેન્ડમાં છે, ત્યારબાદ તે સિંગાપોર ગયો હતો. જુલાઈ, 2011 માં અમન વ્યાસ ભારતના નવી દિલ્હી એરપોર્ટ પરથી વિદેશ જતા પકડાયો હતો. પ્રત્યાર્પણની કાર્યવાહી પછી તેને ઑક્ટોબર, 2019માં તેને યુકે લવાયો હતો.