લંડનમાં હાઈકોર્ટે 6 ફેબ્રુઆરીના રોજ ભારતના ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીની બેંક ઓફ ઈન્ડિયાની નહીં ચૂકવેલી લોનના કેસમાં કાર્યવાહી મોડેથી શરૂ કરવાની અરજી ફગાવી હતી. નીરવ મોદીએ આંખમાં ગંભીર સમસ્યા, માનસિક હતાશા અને જેલના પ્રતિબંધો કારણે આ વિલંબની માગણી કરી હતી. પંજાબ નેશનલ બેંક (PNB) સાથે છેતરપિંડી અને મની લોન્ડરિંગના બે બિલિયન ડોલરના કેસમાં ભારતમાં પ્રત્યાર્પણ થવા સામે કાયદાકીય લડત આપી રહેલા 54 વર્ષીય નીરવ મોદી આઠ મિલિયન ડોલરના બેંક ઓફ ઈન્ડિયાના કેસમાં પ્રી-ટ્રાયલ સમીક્ષા માટે નોર્થ લંડનની HMP પેન્ટનવિલે જેલમાંથી વિડીયો કોન્ફરન્સ દ્વારા કોર્ટમાં ઉપસ્થિત રહ્યા થયા.
આ અંગે ન્યાયમૂર્તિ સિમોન ટિંકલરે જણાવ્યું હતું કે, નીરવ મોદીને કોઈ ‘મોટું નુકસાન’ થયું નથી અને 23 માર્ચથી શરૂ થનારી આઠ દિવસની ટ્રાયલમાં આગળ વધવા માટેની પ્રક્રિયા દરમિયાન તેમને વિરોધ કરવા માટે આ પ્રકારની તક મળશે. કોર્ટે ચુકાદો આપતા કહ્યું કે, ‘કમનસીબ, હું નીરવ મોદી દ્વારા કરવામાં આવેલી અરજીને પ્રક્રિયામાં વિલંબ, પાલન ન કરવાની અને કેસને વારંવાર ખોરંભે ચઢાવવાની નીતિનો હિસ્સો માનું છું’. અત્રે ઉલ્લેખનીય છે કે, એપ્રિલ 2021માં, યુકેનાં તત્કાલીન હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે તેમની સામે પ્રથમ દૃષ્ટિએ ગુના સ્થાપિત થયા પછી ભારતની વિવિધ કોર્ટમાં આ આરોપોનો સામનો કરવા માટે તેમનું પ્રત્યાર્પણ કરવાનો આદેશ આપ્યો હતો.

LEAVE A REPLY