મહારાષ્ટ્ર ની ઉદ્વવ ઠાકરે સરકારે શપથ લીધી તેને માંડ બે મહિના પણ નથી થયા કે સરકારમાં કકળાટ શરૂ થઈ ગયો છે. સરકારમાં રાજ્ય મંત્રી તરીકે શપથ લેનારા અબ્દુલ સત્તાર એ રાજીનામુ ધરી દીધું છે. જોકે, મહત્ત્વપૂર્ણ વાત એ છે કે સત્તાર શિવસેના કોટામાંથી રાજ્ય મંત્રી બન્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ સત્તાર કૅબિનેટ મંત્રીપદ માંગી રહ્યા હતા અને મંત્રી મંડળના વિસ્તરણથી નારાજ થઈ તેમણે રાજીનામું ધરી દીધું છે. શિવસેનાની આગેવાનીવાળી મહારાષ્ટ્ર વિકાસ અઘાડી ગઠબંધન સરકારમાં શિવસેના ઉપરાંત, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી અને કૉંગ્રેસનો સમાવેશ થાય છે. આ સરકારની રચના થઈ ત્યારથી ત્રણેય પક્ષો વચ્ચે વિભાગોની વહેંચણીને લઈને સતત ઝઘડો ચાલુ છે. 30 ડિસેમ્બરે 36 નવા પ્રધાનોના શપથ ગ્રહણ સાથે, મહારાષ્ટ્રમાં કાઉન્સિલના સભ્યોની સંખ્યા વધીને 43 થઈ ગઈ છે, પરંતુ ઉદ્ધવ ઠાકરેએ હજી સુધી નવા મંત્રીઓને પોર્ટફોલિયો ફાળવ્યા નથી.