ઇન્ડિયન આર્મીના વાઇસ ચીફ લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડની કેન્દ્ર સરકારે ઇન્ડિયન આર્મીના નવા વડા તરીકે નિયુક્તિ કરી છે. તેઓ 1મેથી પોતાના ચાર્જ સંભાળશે. (ANI Photo/ ANI Pic Service)

ઇન્ડિયન આર્મીના વાઇસ ચીફ લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડની કેન્દ્ર સરકારે ઇન્ડિયન આર્મીના નવા વડા તરીકે નિયુક્તિ કરી છે. તેઓ 1મેથી પોતાના ચાર્જ સંભાળશે. તેઓ આર્મી ચીફ બનનારા પ્રથમ એન્જિનિયર છે. તેઓ આ મહિનાના અંતમાં વર્તમાન આર્મી ચીફ જનરલ એમએમ નરવાણેની નિવૃત્તિ બાદ જવાબદારી સંભાળશે. લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડે નેશનલ ડિફેન્સ એકેડેમીના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેમને 1982માં કોર ઓફ એન્જિનિયર્સમાં કમિશન મળ્યું હતું.

લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડેએ જમ્મુ-કાશ્મીરમાં સરહદ નજીક સંવેદનશીલ પલ્લવવાલા સેક્ટરમાં ઓપરેશન પરાક્રમ દરમિયાન 117 એન્જિનિયર રેજિમેન્ટની કમાન સંભાળી હતી. પશ્ચિમી સેક્ટરમાં એક એન્જિનિયર બ્રિગેડ અને પશ્ચિમી લદાખના ઊંચાઈ ધરાવતા વિસ્તારોમાં એક પર્વતીય ડિવિઝન અને પૂર્વોત્તરમાં એક કોરની કમાન સંભાળી હતી. તેઓ સંયુક્ત રાષ્ટ્રના ઘણા મિશનોમાં યોગદાન આપી ચૂક્યા છે. તેઓ જૂ 2020થી મે 2021 સુધી અંદામાન-નિકોબાર કમાનના કમાન્ડર ઈન ચીફ પણ રહ્યા હતા.

આ મહિનાના અંતમાં નિવૃત્ત થનારા જનરલ નરવાણેને આગામી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) બનાવવામાં આવી શકે છે. ભારતના પ્રથમ સીડીએસ જનરલ બિપીન રાવતના નિધન બાદ આ સ્થાન હજી ખાલી છે. આ સ્થાન માટે હજી સુધી સત્તાવાર રીતે કોઈ નામની જાહેરાત કરવામાં આવી નથી. ગત ડિસેમ્બરમાં એક હેલીકોપ્ટર ક્રેશમાં જનરલ બિપીન રાવતનું નિધન થયું હતું.