આંતરરાષ્ટ્રીય એથ્લેટિક્સ ક્ષેત્રે ભારતનું નામ રોશન કરનાર મિલ્ખા સિંઘ (91)નું ચંદિગઢ નિધન થયું છે. કોરોનામાંથી સાજા થયા બાદ મિલ્ખા સિંઘ જિંદગી સામેની દોડ હારી ગયા હતા. તાજેતરમાં જ તેમના પત્ની નિર્મલ સિંઘ (85)નું પણ કોરોનાના કારણે મૃત્યુ થયું હતું. થોડા સમય પહેલા મિલ્ખા સિંઘનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને અચાનક જ તેમની તબિયત બગડી હતી. પછી તેમને ચંદીગઢની પીજીઆઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આજે સાંજે 5:00 કલાકે ચંદીગઢમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. શનિવારે બપોરે 3:00 કલાકે તેમના પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે તેમના સેક્ટર 8 ખાતે આવેલા ઘરે રાખવામાં આવશે.
ભારતના પ્રેસિડેન્ટ રામ નાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ સહિત અનેક રાજનેતાઓ ઉપરાંત ફિલ્મ જગત અને ક્રિકેટ જગતની હસ્તિઓએ મિલ્ખા સિંઘના અવસાન અંગે દુખ વ્યક્ત કર્યું છે. પ્રેસિડેન્ટ રામનાથ કોવિંદે લખ્યું હતું કે, ‘સ્પોર્ટિંગ આઈકોન મિલ્ખા સિંહના અવસાનથી મારૂં હૃદય દુખથી ભરાઈ ગયું છે, તેમના સંઘર્ષોની કથા અને તેમના ચારિત્ર્યની તાકાત ભારતીયોની પેઢીઓને પ્રેરિત કરતી રહેશે, તેમના પરિવારના સભ્યો અને અનેક ચાહકો પ્રત્યે મારી સંવેદના છે.’
વડાપ્રધાન મોદીએ લખ્યું હતું કે, ‘શ્રી મિલ્ખા સિંહજીના અવસાનથી આપણે એક મહાન ખેલાડી ગુમાવ્યો છે, જેમણે દેશની કલ્પના પર કબજો કરી લીધો, જે અગણિત ભારતીયોના હૃદયમાં એક વિશેષ સ્થાન ધરાવતા હતા. તેમના પ્રેરક વ્યક્તિત્વએ તેમને લાખો લોકોના પ્રિય બનાવી દીધા હતા, તેમના અવસાનથી આહત છું.’