જાપાનમાં ક્વાડ નેતાઓની સમીટમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની જાપાનની મુલાકાતે લેવા માટે રવિવાર (21મે)એ રવાના થયા હતા. ક્વાડ શિખર બેઠકનો હેતુ સભ્યદેશો વચ્ચેના સહકારને વધુ વેગ આપવાનો તથા ઇન્ડો પેસિફિક રિજનની ગતિવિધિનો ચર્ચાવિચારણા કરવાનો છે. જાપાન રવાના થતા પહેલાં મોદીએ કહ્યું હતું કે આ સમિટમાં ચાર સભ્ય દેશોના નેતાઓ સાથે ક્વાડની વિવિધ પહેલમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરવા માટેનો અવસર મળશે.

ટોક્યોમાં ક્વાડની બેઠકમાં વડાપ્રધાન મોદી 24મેએ અમેરિકાના પ્રમુખ જો બિડેન, જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિડા અને ઓસ્ટ્રેલિયાના નવનિયુક્ત વડાપ્રધાન એન્થોની આલ્બેનિઝને મળશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે “વિશ્વનું વધુ કલ્યાણ થાય તે માટે નરેન્દ્ર મોદી જાપાન જવા રવાના થયા છે.”
મોદી આ સમિટ ઉપરાંત આ તમામ નેતાઓ સાથે દ્વિપક્ષીય મીટિંગ પણ કરશે. તેમણે એક નિવેદનમાં કહ્યું હતું કે “જાપાનમાં હું ક્વાડ નેતાઓની સમિટમાં હાજરી આપીશ, જેમાં ક્વાડના ચાર સભ્ય દેશો સાથે મળીને ક્વાડની પહેલ અંગે પ્રગતિની સમીક્ષા કરવાનો અવસર મળશે. અમે ઈન્ડો-પેસિફિક રિજનમાં બની રહેલા અને વિશ્વમાં બની રહેલા ઘટનાક્રમ અંગે પણ વિચારોની આપ-લે કરીશું.” ઉલ્લેખનીય છે કે ઈન્ડો-પેસિફિક રિજનમાં ખાસ કરીને ચીનની ગતિવિધિથી મોટાભાગના દેશો ત્રસ્ત છે. તેમાં પણ અમેરિકા સાથે મતભેદ વધી જવાને કારણે અમેરિકા ચીનને કાબૂમાં લેવા માટે ભારતને સહયોગ આપવા ઈચ્છે છે.મોદી બાઇડેન, કિશિડા અને આલ્બેનીઝ સાથે અલગ-અલગ બેઠકો પણ યોજાશે.