
રાજ્યસભામાં કોંગ્રેસ પર ચાબખા મારતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે જણાવ્યું હતું કે મોહબ્બત કી દુકાનની વાતો કરનારા ‘મોદી તેરી કબર ખુદેગી’ના નારા લગાવે છે. એક તરફ હું દેશના યુવાનો માટે નવા મેદાન તૈયાર કરવાનો પ્રયાસ કરી રહ્યો છું, ત્યાં કોંગ્રેસ મોદીની કબર ખોદવાનો કાર્યક્રમ યોજી રહી છે. તમે મોદીની કબર કેમ ખોદવા માંગો છો? આ ફક્ત એક સૂત્ર નથી. તે તેમનામાં રહેલા નફરતનું પ્રતિબિંબ છે.
મોદીએ જણાવ્યું હતું કે 2014માં સત્તામાં આવ્યા પછી સંસદનું એક પણ સત્ર એવું નથી રહ્યું નથી જેમાં મોદીને ગાળો બોલવામાં ન આવી હોય. જો કોઈ મારા આરોગ્યનું રહસ્ય પૂછે, તો મેં જવાબ આપ્યો હોત કે હું દરરોજ બે કિલો ગાળો ખાઉં છું.
કેન્દ્રીય પ્રધાન રવનીત સિંહ બિટ્ટુને ગદ્દાર ગણાવતી રાહુલ ગાંધીની ટીપ્પણીની નિંદા કરતાં મોદીએ જણાવ્યું હતું કે તે સમગ્ર શીખ સમુદાયનું અપમાન છે. લોકોનું અપમાન કરવું તે કોંગ્રેસની સંસ્કૃતિનો એક હિસ્સો છે.
મમતા બેનર્જીની આગેવાની હેઠળની ટીએમસી પાર્ટી પર પશ્ચિમ બંગાળમાં ઘુસણખોરોને રક્ષણ આપવાનો આક્ષેપ કરતાં મોદીએ જણાવ્યું હતું કે આવી નિર્દય સરકાર લોકોના ભવિષ્યને અંધકારમાં ધકેલી રહી છે. દેશના યુવાનો આવા લોકોને કેવી રીતે માફ કરશે, જેઓ ઘુસણખોરોનો કેસ લડવા માટે પ્રયત્નશીલ છે.
બીજી તરફ રાજ્યસભામાં ભાષણના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વળતો પ્રહાર કરતાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે મોદી સત્યથી એટલા ડરી ગયા છે કે તેમણે જુઠાણાનો આશરો લીધો છે. લોકસભામાં વિરોધ પક્ષના નેતાએ સવાલ કર્યો હતો કે વડાપ્રધાન માત્ર થોડા પ્રશ્નોથી આટલાં બધા કેમ ગભરાઈ ગયા છે? રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા એક્સ પરની એક પોસ્ટમાં લખ્યું હતું કે મોદીજી સત્યથી એટલા ડરે છે. તેમણે જુઠ્ઠાણામાં આશરો લીધો છે. જોકે તેમણે જે યોગ્ય લાગ્યું તે તેમને કર્યું. કોંગ્રેસના નેતાએ બુધવારે ભૂતપૂર્વ આર્મી ચીફ એમ એમ નરવણેના અપ્રકાશિત પુસ્તકનો ઉલ્લેખ કરી દાવો કર્યો હતો કે પીએમ મોદી 2020માં ભારત-ચીન સંઘર્ષ દરમિયાન જવાબદારી છટકી ગયાં હતાં અને જનરલના શિરે જવાબદારી નાંખી દીધી હતી












