(Photo by STRDEL/AFP via Getty Images)

દિલ્હી હાઇકોર્ટે ચેક બાઉન્સ કેસોમાં દોષિત ઠરેલા કોમેડિયન એક્ટર રાજપાલ યાદવને તાકીદે તિહાડ જેલ સત્તાવાળા સમક્ષ આત્મસમર્પણ કરવાનો ગુરુવારે આદેશ આપ્યો હતો. અગાઉના આદેશને પાછો ખેંચી લેવાની એક્ટરની અરજીને નકારી કાઢતા દિલ્હી હાઇકોર્ટે જણાવ્યું હતું કે તેની પૃષ્ઠભૂમિ અથવા ઉદ્યોગને કારણે વિશેષ જોગવાઈની અપેક્ષા રાખી શકાય નહીં. હાઇકોર્ટના આકરા વલણ પછી રાજપાલે તિહાડ જેલમાં સરેન્ડર કર્યું હતું.

એક્ટરના વરિષ્ઠ વકીલે કોર્ટને દયાની અરજી કરીને જણાવ્યું હતું કે ફરિયાદી મેસર્સ મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડને ચૂકવણી કરવા માટે પૈસાની વ્યવસ્થા કરી શકે તે માટે કોર્ટ તેના અગાઉના આદેશને પાછો ખેંચે. રાજપાલ યાદવ ૪ ફેબ્રુઆરીએ સાંજે ૪ વાગ્યે આત્મસમર્પણ કરવાના આદેશનું પાલન કરી શક્યા નહીં, કારણ કે તેઓ પૈસાની વ્યવસ્થા કરવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં અને સાંજે ૫ વાગ્યે દિલ્હી પહોંચ્યાં હતાં.

જોકે હાઇકોર્ટે જણાવ્યું હતું કે કાયદો તેના પાલનને પુરસ્કાર આપે છે, તેના તિરસ્કારને નહીં. અગાઉના આદેશને પાછો ખેંચી લેવાથી સંદેશ જશે કે તેના આદેશોની વારંવાર અવગણના કરી શકાય છે અને કોઈ પરિણામ નહીં આવે.

રાજપાલ યાદવે પોતાની ફિલ્મ ‘અતા પતા લાપતા’ પૂરી કરવા માટે આ કંપની પાસેથી રૂ.5 કરોડ ની લોન લીધી હતી અને નાણાં ચૂકવણી માટે અનેક ચેક આપ્યા હતાં, જોકે તમામ બાઉન્સ થયાં હતાં. તેથી કંપનીએ તેની સામે કેસ દાખલ કર્યો હતો. નીચલી કોર્ટે રાજપાલને દોષિત જાહેર કરી 6 મહિનાની સજા સંભળાવી હતી. મામલો હાઈકોર્ટ પહોંચ્યા બાદ કોર્ટે અભિનેતાને થોડો સમય આપીને સજા અટકાવી દીધી હતી. આ દરમિયાન કોર્ટે શરત મૂકી હતી કે, તેઓ કંપનીને પૈસા ચુકવી દેશે. અભિનેતાઓ કોર્ટમાં અનેક વખત વચન આપ્યું હતું, પણ નાણાં ચૂકવવામાં તે દર વખતે નિષ્ફળ ગયો હતો.

LEAVE A REPLY