બોલીવૂડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકીનુ અંગત જીવન ચર્ચાના ચકડોળે છે. નવાઝની પત્ની આલિયાએ છુટાછેડા તો માંગ્યા છે અને સાથે- સાથે નવાઝના પરિવારજનો પર મારઝૂડના સ્ફોટક આક્ષેપો મુકતા ખળભળાટ વ્યાપી ગયો છે.
આલિયાએ કહ્યુ છે કે, નવાઝનો ભાઈ મને મારતો હતો.જોકે નવાઝે ક્યારેય મારા પર હાથ નથી ઉઠાવ્યો. મારે નવાઝ સાથેના લગ્ન જીવનમાં શારીરિક અને માનસિક ત્રાસના લાંબા સમયમાંથી પસાર થવુ પડ્યુ છે.
એક ઈન્ટરવ્યૂમાં આલિયાએ કહ્યુ હતુ કે, નવાઝની પહેલી પત્નીએ પણ મારઝૂડના કારણે જ છુટાછેડા આપ્યા હતા. નાવઝના પરિવાર સામે સાત કેસ છે. પરિવારમાં ચાર છૂટાછેડા થઈ ચુક્યા છે અને મારો પાંચમો કેસ છે. નવાઝ મારા પર હાથ નહોતો ઉઠાવતો પણ તે મારા પર બૂમો પાડતો હતો. ઝઘડ઼ા અને દલીલો મારા માટે સહન કરવુ શક્ય રહ્યુ નહોતુ. મેં સ્થિતિ સંભાળવાની કોશિશ પણ કરી હતી. જોકે મને લાગ્યુ હતુ કે, હવે વાત મારા હાથ બહાર છે તેના કારણે મારે છૂટાછેડાનો નિર્ણય લેવો પડ્યો હતો.