ભારતમાં ચેકથી નાણા ચૂકવવાની બાબતે 1 જાન્યુઆરી 2021થી મહત્ત્વના ફેરફાર આવી રહ્યા છે. અત્યારે કોઇ વ્યક્તિ જેને નાણા ચૂકવવાના છે તે સામેની વ્યક્તિને ચેક આપી શકે છે. પરંતુ હવે આવતા વર્ષથી ચેક દ્વારા ચૂકવણીની સીસ્ટમમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યો છે, તેને પોઝિટિવ પે સિસ્ટમ નામ અપાયું છે.
ખાસ તો રૂ. 50 હજારથી વધુ રકમનું પેમેન્ટ કરવાનું હોય ત્યારે મહત્ત્વપૂર્ણ માહિતી આપવાની જરૂર પડશે. એ માટે ચેક આપનાર વ્યક્તિએ એસએમએસ, મોબાઇલ એપ, ઇન્ટરનેટ બેંકિંગ કે એટીએમ જેવા માધ્યમ દ્વારા ચેકને લગતી વધારાની માહિતી આપવાની પડશે. જેના નામે ચેક આપવામાં આવ્યો હોય એને રકમ ચૂકવતા અગાઉ બેંક જેને ચૂકવણી કરવાની હોય તેનું નામ અને ચેકમાં લખેલી રકમ વિશે ફરીથી પૂછપરછ કરીને ખાતરી કરશે કે ચેક રજૂ કરનાર વ્યક્તિ એ જ છે જેના નામે ચેક લખવામાં આવ્યો છે. આ રીતે આર્થિક સુરક્ષા વધારવાની વ્યવસ્થા કરવામાં આવી રહી હતી.
જોકે, આ અંગે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કહ્યું હતું કે, અત્યારે આ વ્યવસ્થા ફરજિયાત નહીં રહે. જે ખાતાધારકને આ સુવિધા ઇચ્છે છે તે બેંકને તેના માટે જાણ કરી શકે છે. આમ છતાં પાંચ લાખ કે તેથી વધુ રકમના ચેક માટે આ સીસ્ટમ ફરજિયાત થશે. ખાસ કરીને મોટા વેપારીઓ અને ઉદ્યોગપતિઓની આર્થિક સુરક્ષા આ સુવિધાથી વધશે તેવી આશા છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેંકોને જણાવ્યું છે કે, આ સીસ્ટમ અંગે તમારા ગ્રાહકોને એસએમએસથી જાણ કરો. તમારી તમામ શાખાઓમાં વેબસાઇટ પર અને ઇન્ટરનેટ બેંકિંગની સુવિધામાં પણ આ વાતની જાણ ખાતેદારોને કરો.