દેશમાં કોરોના મહામારી રોગચાળામાં અત્યાર સુધી ૫૯,૬૯૫ લોકો સંક્રમિત થયા છે અને ૧૯૮૫ લોકોનાં મોત થયાં છે. આ ઉપરાંત ૧૭,૮૮૭ લોકો સારવાર બાદ સાજા થયા છે. સૌથી વધારે સંક્રમિતો ધરાવતા મહારાષ્ટ્રમાં દરદીઓનો આંકડો ૧૯,૦૦૦ને પાર પહોંચ્યો છે. તો બીજા નંબરે ગુજરાતમાં ૭૪૦૩ લોકો સંક્રમિત થયા છે. પંજાબ સરકારે રાજ્યની તમામ શાળામાં પરીક્ષા વગર જ પાંચમા અને ૧૦મા ધોરણના વિદ્યાર્થીઓને બીજા ધોરણમાં પ્રવેશ આપવાનો નિર્ણય કર્યો છે.

કોરોના વાઇરસનું સંક્રમણ દેશનાં ૨૬ રાજ્યોમાં ફેલાયું છે. ૭ કેન્દ્રશાસિત પ્રદેશ આના સંકજામાં આવી ગયા છે જેમાં દિલ્હી, ચંડીગઢ, આંદામાન-નિકોબાર, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, પુડ્ડુચેરી અને દાદરા નગર હવેલી સામેલ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન હર્ષવર્ધને કહ્યું કે ‘ભારતમાં કોરોના સંક્રમણની સ્થિતિ અમેરિકા-બ્રિટન જેવા વિકસિત દેશની જેમ એટલી ખરાબ થવાની શક્યતા નથી, પરંતુ સ્થિતિ બગડશે તો પણ એની સામે લડવા માટેની પૂરી તૈયારી છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન ડૉક્ટર હર્ષવર્ધને કોરોના વાઇરસ વિશે વિડિયો-કૉન્ફરન્સિંગના માધ્મયથી ઉત્તર-પૂર્વ રાજ્યોના સ્વાસ્થ્ય પ્રધાનો સાથે બેઠક કરી હતી. આ દરમિયાન હર્ષવર્ઘને કહ્યુ કે ‘અન્ય વિકસિત દેશોની જેમ આપણે દેશમાં ખૂબ ખરાબ પરિસ્થિતિનો અંદાજ નથી લગાવી રહ્યા, પરંતુ આપણે આખા દેશને સૌથી ખરાબ પરિસ્થિતિ માટે પણ તૈયાર કરી દીધો છે. કેન્દ્રીય પ્રધાને કહ્યું કે ’દેશમાં કોરોનાનો મૃત્યુદર લગભગ ૩.૩ ટકા છે, જ્યારે રિકવરી દર ૨૯.૯ ટકા સુધી વધ્યો છે. આ ખૂબ સારા સમાચાર છે.