નેશનલ ફાર્મસી એસોસિએશનના અગ્રણીઓએ કોવિડ-19 રસી જેવી મહત્વપૂર્ણ સંભાળ ગુમાવી શકે તેવી શક્યતાઓ ધરાવતા દર્દીઓ અને સમુદાયના લોકો સુધી પહોંચવા વિશે ઇક્વાલીટી મિનીસ્ટર કેમી બેડેનોચને મળીને રજૂઆત કરી હતી.

ગુરૂવારે તા. 7 ના રોજ એનપીએ ચેરમેન અને ચર્ચાના અધ્યક્ષ એન્ડ્રુ લેને કહ્યું હતું કે “અમારા ક્ષેત્ર અને અમે દર્દીઓની જે સેવા કરીએ છીએ તેના સહિત અનેક મુદ્દાઓ વિષે વાત કરવી ખૂબ જ જરૂરી હતી. એમ્પલોયર તરીકે, સ્થાનિક આર્થિક પ્રવૃત્તિઓના કેન્દ્ર તરીકે અને વંચિત સમુદાયોના લોકોને આરોગ્યસંભાળ આપનાર કોમ્યુનીટી ફાર્માસિસ્ટ્સ સમાનતાને ટેકો આપવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ધરાવે છે. બીજું કે, ઘણા ફાર્મસી માલિકો અને સ્ટાફ BAME જૂથોના છે. ઇક્વાલીટી મિનીસ્ટર જાગૃત છે કે લોકોને તેમના સ્થાનિક ફાર્માસિસ્ટ્સ પર ઉચ્ચ સ્તરનો વિશ્વાસ છે, જેઓ કોવિડ-19 રસી વિશે શંકાઓ અને ગેરરીતિઓને દૂર કરવામાં એક મહત્વપૂર્ણ પરિબળ હોઈ શકે છે. અમે તેમને કૌટુંબિક માલિકીની ફાર્મસીઓ પરના વર્તમાન આર્થિક દબાણની યાદ અપાવી હતી. જેમાનાં ઘણા લોકો BAME જૂથના છે અને હજારો કર્મચારીઓને રોજગારી આપે છે.”

ઇક્વાલીટી મિનીસ્ટર કેમી બેડેનોચે મીટિંગમાં કહ્યું હતું કે “આ રોગચાળા દરમ્યાન ફાર્માસી ટીમો સહિત અમારા મેડિકલ અને ફ્રન્ટલાઈન સ્ટાફે અથાક મહેનત કરી છે અને તમે જબરદસ્ત કામ કર્યું છે. અમે

કોવિડ-19 અસમાનતાઓ અંગે કમિશન ફોર રેસ એન્ડ એથનિક ડિસ્પેરીટીઝ પાસેથી શીખવા પ્રતિબદ્ધ છીએ. દેશભરના કોમ્યુનિટી ફાર્માસિસ્ટ્સ રસીકરણ કાર્યક્રમમાં અને રોગચાળા દરમ્યાન પોતાનું યોગદાન ચાલુ રાખશે તે બદલ તેમનો આભાર માનું છું.”

વર્ચ્યુઅલ રાઉન્ડટેબલમાં એનપીએ અને કેમી બેડેનોચ સાથે BAME ફાર્માસિસ્ટ અને ઇનર લંડનનાં જી.પી., ફાર્મસી મિનીસ્ટર જો ચર્ચિલ સાંસદ અને વેક્સીન ડીપ્લોયમનેટ મિનીસ્ટર નદીમ ઝહાવી જોડાયા હતા.