મેન્ટલ હેલ્થના પ્રશ્નો વિશે સમાજમાં જાગૃતી લાવવા જુદી જુદી જૈન સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરતી “વન જૈન” સંસ્થા દ્વારા “જૈન હેલ્થ ઇનિશીએટીવ” અંતર્ગત મેન્ટલ હેલ્થ વિશે તાજેતરમાં અત્યંત ઉપયોગી અને માહિતીપ્રદ વેબિનાર યોજવામાં આવ્યો હતો.

સેન્ટ્રલ અને નોર્થવેસ્ટ લંડન ટ્રસ્ટના NHS સર્વિસ ઇમ્પ્રૂવમેન્ટ મેનેજર વર્ષા દેઢિયાએ પ્રારંભે કહ્યું હતું કે ‘’આપણા સમાજમાં લોકો મેન્ટલ હેલ્થ વિશે પ્રવર્તતા ખ્યાલોને કારણે ભાગ્યે જ કોઈ આવા પ્રશ્નોથી પરેશાન હોવાનું  સ્વીકારે છે. પ્રત્યેક ચાર વ્યક્તિએ એક વ્યક્તિ માનસિક પ્રશ્નોથી પીડાતી હોય છે અને આ બીમારીને ઉંમર, વર્ગ, જાતિ કે અમીરી-ગરીબી સાથે કોઈ સંબંધ હોતો નથી.’’

“મેન્ટિસ” સંસ્થાના ફાઉન્ડર અને સી.ઈ.ઓ. અનિશ શાહે કહ્યું હતું કે ‘’વેલ-બિઇંગ (સુખાકારી)ની ઘણી વ્યખ્યાઓ છે, આવી સુખાકારી આંતરિક અને બાહ્ય બાબતો પર આધારિત છે. આજના સમયમાં કોવિડને કારણે સર્જાયેલી આર્થિક કટોકટીને લીધે જો કોઈ આવી પરિસ્થતિથી મૂઝાયેલું હોય અને કપરા સમયમાંથી પસાર થતું હોય તો બીજાઓએ એને મદદ કરવી જોઈએ.’’

સાયકોલોજીના જુનિયર ડૉક્ટર અને કોર ટ્રેની ડૉ. રિશી ગાલીયાએ કહ્યું હતું કે ‘’સામાન્ય રીતે આમાં ડિપ્રેશન અને એન્કઝાઇટી આવે છે અને ક્યાંક એડિક્શન, ભોજનની પદ્ધતિમાં અનિયંત્રિતતા અને સાઇકોસીસ થાય છે. આને પરિણામે કેટલીક વ્યક્તિઓના વિચારોમાં અને કાર્યોમાં પોતાની જાતને હાનિ પહોંચાડવાના કે આત્મહત્યા જેવા બનાવો બનવાની ઘટના પણ સર્જાતી હોય છે.’’

સીનીયર ક્લિનિકલ સાયકોલોજિસ્ટ ડૉ. ચિરાગ ગોરાસિયાએ કઈ રીતે મદદ મેળવવી કે બીજાને મદદ કરવી અને કઈ રીતે સારી રીતે જીવવું તે બતાવ્યું હતું. આને માટે પુસ્તકો, જુદી જુદી એપ અને કમ્પ્યુટરાઈઝ પ્રોગ્રામો મળે છે. જોકે આવી સહાય મળવા છતાં કેટલાકને મેન્ટલ હેલ્થના પ્રશ્નો ઉકેલવા માટે પ્રોફેશનલ્સની જરૂર પડે છે. આ સંદર્ભમાં એમણે ઘણા ઉપયોગી સૂચનો કર્યા હતા.

વાર્તાલાપ પછી પ્રેક્ષકોના જવાબો અપાયા હતા. મેન્ટલ હેલ્થ એક સેન્સિટિવ વિષય છે પણ આ ચર્ચાના પેનલિસ્ટોએ પોતાની કુશળતા અને પ્રોફેશનાલિઝમથી વ્યક્તિ કઈ રીતે સુખાકારીપૂર્વક રહી શકે તે માટેની માહિતી આપી હતી. અંતે તેમણે કહ્યુ હતું કે ‘Its okay Not to be Okey!’

વેબિનાર જોવા માટે ક્લીક કરો: https://www.youtube.com/watch?v=zGy-qSN7QIc મેન્ટલ હેલ્થ રીસોર્સીસ માટે: https://www.onejainuk.org/mental-health સંપર્ક: જયસુખ મહેતા 07830 294 060.