
ચાર રાજ્યોમાં પાંચ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં એક બેઠક પર ભાજપનો અને ચાર બેઠકો પર વિપક્ષનો વિજય થયો હતો. ગુજરાતની વિસાવદર અને પંજાબની લુધિયાણા બેઠકો પર અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીનો વિજય થયો હતો. કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુડીએફે કેરળમાં શાસક એલડીએફ પાસેથી નીલામ્બુર બેઠક આંચકી લીધી હતી.
ગુજરાતમાં શાસક ભાજપે ગુજરાતની કડી બેઠક જાળવી રાખી હતી. જ્યારે તૃણમૂલ કોંગ્રેસે પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં કાલીગંજ વિધાનસભા બેઠક પર પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો. પાંચેય બેઠકો પર પેટાચૂંટણીઓ ૧૯ જૂને યોજાઈ હતી.
આમ આદમી પાર્ટી (AAP)ના ગુજરાત એકમના ભૂતપૂર્વ પ્રમુખ ઇટાલિયાએ જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક પર તેમના નજીકના હરીફ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને 17,554 મતોના માર્જિનથી હરાવ્યા હતાં. રાજ્યમાં લગભગ સંપૂર્ણ પ્રભુત્વ હોવા છતાં, ભાજપ 2007થી વિસાવદર બેઠક જીતી શક્યું નથી.
પંજાબની શાસક AAPએ લુધિયાણા પશ્ચિમ વિધાનસભા બેઠક જાળવી રાખી હતી. તેના ઉમેદવાર સંજીવ અરોરાએ તેમના નજીકના હરીફ અને કોંગ્રેસના ઉમેદવાર ભારત ભૂષણ આશુને 10,637 મતોના માર્જિનથી હરાવ્યા હતાં. બીજેપીના જીવન ગુપ્તાને 20,323 વોટ મળ્યા હતાં, જ્યારે શિરોમણી અકાલી દળના ઉમેદવાર પરુપકાર સિંહ ખુમાણને 8,203 વોટ મળ્યા મળ્યાં હતાં.
ગુજરાતના મહેસાણા જિલ્લાની કડી બેઠક પર ભાજપના રાજેન્દ્ર ચાવડાએ કોંગ્રેસના રમેશ ચાવડાને ૩૯,૪૫૨ મતોથી હરાવ્યાં હતાં. કેરળમાં, પિનરાયી વિજયનની આગેવાની હેઠળની LDF સરકારને આંચકો લાગ્યો હતો, કારણ કે વિપક્ષ કોંગ્રેસની આગેવાની હેઠળની UDFએ નિલામ્બુર વિધાનસભા મતવિસ્તાર 11,077 મતોના માર્જિનથી આંચકી લીધી હતી.
પશ્ચિમ બંગાળમાં શાસક તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર અલીફા અહેમદે કાલીગંજ વિધાનસભા બેઠક પરથી તેમના નજીકના ભાજપ હરીફ આશિષ ઘોષ પર ૫૦,૦૪૯ મતોના જંગી માર્જિનથી જીત મેળવી હતીં.
