સુરતમાં, સોમવાર, 23 જૂન, 2025 ના રોજ, વરસાદ વચ્ચે પાણી ભરાયેલા રસ્તા પરથી એક વેન્ડર પસાર થઈ રહ્યો છે. (પીટીઆઈ ફોટો)

ગુજરાતના 12 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે સોમવાર, 23 જૂન સુધીના છેલ્લાં બે દિવસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. દક્ષિણ ગુજરાતના સુરત તથા ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા જિલ્લામાં 12 ઇંચ સુધીના વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. સુરતમાં સોમવાર, 23 જૂને એક જ દિવસમાં નવ ઇંચ સુધી વરસાદ ખાબકતા ઠેરઠેર પાણી ભરાયા હતાં અને બેઝમેન્ટ આવેલી દુકાનો તથા નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પાણી ઘુસ્યા હતાં. સ્કૂલોમાં વિદ્યાર્થીઓને વહેલી રજા આપી દેવામાં આવી હતી.

સુરત શહેર ઉપરાંત સુરત જિલ્લામાં કામરેજ, માંડવી, માંગરોળ, પલસાણા, ચોરાસી, ઉમરપાડા, બારડોલી, ઓલપાડ તાલુકામાં પણ સાત ઇંચ જેટલા ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું.

સોમવાર સવાર સુધીના 24 કલાકમાં રાજ્યના 165 તાલુકામાં વરસાદ પડ્યો હતો. 30 તાલુકામાં બે ઇંચ સુધી અને 70 તાલુકામાં ઓછામાં ઓછા એક ઇંચ સુધી વરસાદ થયો હતો. સુરતમાં 3.11 ઇંચ, રાજકોટમાં 0.55, વડોદરામાં 0.12 અને અમદાવાદમાં 0.12 ઇંચ વરસાદ થયો હતો.

ઉત્તર ગુજરાતના વડાલીમાં ૧૨ ઇંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે દાંતા પંથકમાં ૯ ઇંચ વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. આ ઉપરાંત ઇડરમાં પાંચ, મેઘરજ-સતલાસણામાં ૪.૫ ઇંચ, તલોદમાં ૩, પ્રાંતિજમાં બે અને પોશીનામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે માઉન્ટ આબુમાં આઠ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જામનગર અને જૂનાગઢ પંથકમાં ચાર ઇંચ વરસાદથી ચોમેર પાણી ભરાયા હતા.

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ અને દાંતા તાલુકામાં મુશળધાર વરસાદ ખાબક્યો હતો. જેને લઇને નદીઓમાં નવા નીર આવવાથી નદીઓ જીવંત બનવા પામી હતી. 36 કલાકમાં અમીરગઢ તાલુકામાં 6 ઇંચ તેમજ દાંતા તાલુકામાં 9 ઇંચ વરસાદ નોંધાયો હતો. ધોધમાર વરસાદ પડવાથી  નીચાણવાળા અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા.

મહેસાણા જિલ્લામાં શનિવારે સતલાસણા તાલુકામાં સાડા ચાર ઈંચ જેટલો વરસાદ ખાબકતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.  આ ઉપરાંત ખેરાલુ, ઊંઝા, વિસનગર, વડનગર વિજાપુર, કડી જોટાણામાં પણ નોંધપાત્ર વરસાદ થયો હતો.

સૌરાષ્ટમાં કાલાવડમાં ૪.૩૩ ઇંચ, જોડીયામાં ૨.૮૦ ઇંચ, જામ જોધપુરમાં ૨.૪૦ ઇંચ જેવો વરસાદ વરસ્યો હતો. જૂનાગઢના કેશોદમાં ૩.૮૨ ઇંચ, માણાવદરમાં ૩.૬૬ ઇંચ, મેંદરડામાં ૨.૭૬ ઇંચ જેવો વરસાદ વરસ્યો છે. જુનાગઢ પંથકમાં ધોધમાર વરસાદથી ગિરનારના પર્વતો પરથી ઝરણાં વહેતા થયા હતો.

 

સૌરાષ્ટ્રના મોટાભાગના ડેમ છલકાયા

ચોમાસાની શરૂઆતમાં જ ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્રના ડેમો છલકાવા લાગ્યા હતાં. રવિવાર, 22 જૂન સુધીમાં રાજુલાનો ધાતરવડી, સાવરકુંડલાનો સુરજવાડી, મહુવાના રોઝકી અને બગડ, ગઢડાનો ભીમદાદ, ચૂડાનો વાંસલ, સાયલાનો લીંબડી-ભોગાવો અને મુળીનો સબુરી ડેમ 100 ટકા ભરાઈ ગયા હતાં.  ઉમરાળાનો રંઘોળા ડેમ 99.65 ટકા, પાલીતાણાનો શેત્રુંજી ડેમ 94.52 ટકા, બોટાદનો ગોમા ડેમ 93.14 ટકા, મોરબીનો ઘોડાધોઇ ડેમ 91.86 ટકા, ધવલનો બ્રાહ્મણી ડેમ 91.58 ટકા અને મુન્દ્રાનો કાલાઘોઘા ડેમ 91.37 ટકા ભરાઈ ચૂક્યો હતાં.

LEAVE A REPLY