![UK PM Rishi Sunak attends the spiritual leader Morari Bapu's Ram Katha on India's 77th Independence Day](https://www.garavigujarat.biz/wp-content/uploads/2023/08/sunak-696x471.jpg)
વૈશ્વિક મંચ પર ભારતના ઉદય અને આકર્ષણને બે સરળ માપદંડોથી માપી શકાય છે. પ્રથમ એ છે કે ભારતે તેની અધ્યક્ષતા હેઠળ G20 સમીટનું સંચાલન કેવી રીતે કરી શકાય તેનો એક મોટો બેન્ચમાર્ક બનાવ્યો છે. બીજુ એ કે કે યુકેના વડાપ્રધાન ‘જય શ્રી રામ’ કહી રહ્યાં છે.
ભારતની એક ન્યૂઝ ચેનલની G20 કોન્ક્લેવમાં યુકેના ભારત ખાતેના રાજદૂત એલેક્સ એલિસના આ શબ્દો છે. ચેનલે યુકેના રાજદૂતને ટાંકીને જણાવ્યું હતું કે “ભારત યુકેમાં ત્રણેય વિઝા કેટેગરીમાં ટોચ પર છે – વિદ્યાર્થીઓ, મુલાકાતીઓ અને કુશળ કામદારો… શું તમે ક્યારેય કલ્પના કરી હતી કે એક દિવસ 15 ઓગસ્ટે 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં રહેનાર વ્યક્તિ જય શ્રી રામ બોલશે.?”
તેમણે ઉમેર્યું હતું કે જો લોર્ડ કર્ઝન જીવતા હોત તો તેમને ગૂંગળામણ થઈ ગયું હોત. બ્રિટિશ રાજ દરમિયાન લોર્ડ કર્ઝન ભારતના વાઈસરોય હતા, તેમણે 1905માં બંગાળના ભાગલા પાડ્યા હતા. આ બંગભંગ ધાર્મિક અને વંશીય તણાવ ઊભો કરીને “ભાગલા પાડો અને રાજ કરો”ની અંગ્રેજ નીતિનું ઉત્તમ ઉદાહરણ માનવામાં આવે છે.
ભારતના સ્વતંત્રતા દિવસ 15 ઓગસ્ટે યુકેના પીએમ સુનકે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં મોરારી બાપુની ‘રામ કથા’માં હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન સુનકે કહ્યું હતું કે “ભારતીય સ્વતંત્રતા દિવસ પર આજે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં મોરારી બાપુની રામ કથામાં અહીં આવવું ખરેખર એક સન્માન અને આનંદની વાત છે. બાપુ, હું આજે અહીં વડાપ્રધાન તરીકે નહીં પરંતુ એક હિન્દુ તરીકે છું”
સુનકે “જય શ્રી રામ” કહીને ટૂંકી સંબોધન કર્યું હતું. તેમણે બોલવા માટે જતા પહેલા મોરારી બાપુનું શાલ ઓઢાળીને અભિવાદન કર્યું હતું.
![](https://www.garavigujarat.biz/wp-content/uploads/2024/06/eee.jpg)