પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

પાકિસ્તાનના કરાચીમાં શનિવારે બપોરે એક બ્લાસ્ટમાં 11 લોકોનાં મોત થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે આ વિસ્ફોટ કરાચીના શેરશાહ વિસ્તારમાં આવેલાં પરચા ચોક પાસે થયો હતો. આ બ્લાસ્ટમાં 11 લોકોનાં મોત થયા હતા અને 12 લોકો ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસ અધિકારી ઝફર અલી શાહે કહ્યું કે, આ બ્લાસ્ટ એક બેંકની નીચે આવેલા નાળામાં થયો હતા.

પોલીસનો દાવો છે કે સ્થાનિક તંત્રએ નાળાની સફાઈ કરવા માટે નોટિસ પણ આપી હતી. પરંતુ પરિસર ખાલી ન હોવાથી આ કામમાં મોડુ થયું હતું. પોલીસે જણાવ્યું કે, બ્લાસ્ટમાં બેંકની ઈમારત અને પાસે આવેલા પેટ્રોલ પંપને ભારે નુકસાન થયુ હતું. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, આશંકા છે કે ઈમારતની નીચે નાળામાં ગેસ ભરાઈ ગયો હોવાથી આ બ્લાસ્ટ થયો હતા.

જો કે, આ ઘટના પછી પોલીસ પ્રવક્તાએ કહ્યું કે, બ્લાસ્ટ થયેલી જગ્યાની તપાસ માટે બોમ્બ સ્ક્વોડની ટીમને બોલાવવામાં આવી હતી. ટીમે પોતાનો રિપોર્ટ સોંપે એ પછી જ બ્લાસ્ટના કારણને લઈને કોઈ સત્તાવાર નિવેદન આપી શકાશે. સિંધ રેન્જર્સે એક નિવેદનમાં જણાવ્યું કે બ્લાસ્ટની સૂચના મળતા જ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આખા વિસ્તારને કોર્ડન કર્યો હતો.