રાજ્યસભાના અધ્યક્ષ વેકૈયા નાઇડુ (RSTV/PTI Photo)

રાજ્યસભામાં અમુક વિપક્ષી સાંસદોના અમર્યાદિત વર્તનના કારણે ગૃહના અધ્યક્ષ એમ વેંકૈયા નાયડુ એટલા વ્યથિત થયા હતા કે બુધવારે સંસદની કાર્યવાહી શરુ થતાં જ તેમણે એક ભાષણ આપીને તેની નિંદા કરી હતી.

તેમણે ઉભા થઈને કડક શબ્દોમાં ગઈકાલના સાંસદોના વર્તનની ટીકા કરી. આ દરમિયાન તેઓ ભાવુક થઈ ગયા અને લગભગ રડી પડ્યા હતા, સૂત્રોના જણાવ્યા અનુસાર, ગૃહપ્રધાન અમિત શાહ, પીયૂષ ગોયલ અને અન્ય બીજેપી સાંસદો વેંકૈયા નાયડુને મળ્યા હતા.

તેમણે કહ્યું હતું કે સંસદ લોકતંત્રનું સર્વોચ્ચ મંદિર હોય છે અને તની પવિત્રતા જાળવવી જરુરી છે. તેમણે જણાવ્યું કે- હું અત્યંત દુઃખ સાથે કહેવા માટે ઉભો થયો છું કે આ સંસદની ગરિમાનો જે પ્રકારે ભંગ કરવામાં આવ્યો છે તે ઘણું ચિંતાજનક છે. મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા જે પ્રકારે વિવિધ ધર્મોના પવિત્ર સ્થળ છે, તેવી રીતે દેશના લોકતંત્રનું મંદિર આપણી સંસદ છે. ટેબલ એરિયા, જ્યાં મહાસચિવ અને પીઠાસીન પદાધિકારી બેસે છે તેને સંસદનું ગર્ભગૃહ માનવામાં આવે છે.