વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સરદાર પટેલ ઝુઓજિકલ પાર્કનું લોકાર્પણ કર્યું હતું. (PTI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30-31 ઓક્ટોબરે ગુજરાતના બે દિવસના પ્રવાસ દરમિયાન ગુજરાતના લોકોને અનેક નવા પ્રોજેક્ટ્સની ભેટ આપી હતી. મોદીએ ખાસ કરીને કેવડિયા ખાતે સંખ્યાબંધ પ્રોજેક્ટ્સનું ઉદ્ધાઘટન અને ખાતમુર્હૂત કર્યું હતું. તેનાથી રાજ્યના નર્મદા જિલ્લામાં આવેલી સ્ટ્રેચ્યુ ઓફ યુનિટી દેશ અને દુનિયા માટે પ્રવાસનું આકર્ષક સ્થળ બન્યું છે. વડાપ્રધાન મોદીએ લોકાર્પણ કરેલા પ્રોજેક્ટ્સની ખાસિયતો નીચે મુજબ છે.

સી-પ્લેન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના નર્મદા જિલ્લામાં કેવડિયા ખાતેના સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ વચ્ચે સી-પ્લેન સર્વિસનું ઉદ્ધાઘટન કર્યું હતું. આ પ્લેનમાં 14 પ્રવાસીઓ બેસી શકશે. એક વ્યક્તિનું એક તરફનું ભાડુ 1500 રૂપિયા નક્કી કરાયું છે. દરરોજ બે સી-ફ્લેન ફ્લાઇટનું સંચાલન થશે.

જંગલ સફારી
જંગલ સફારી 375 એકરમાં અને 7 જુદી જુદી સપાટીએ બનાવવામાં આવેલ સ્ટેટ ઓફ આર્ટ ઝુઓલોજીકલ પાર્ક છે. જંગલ સફારીમાં પ્રવાસીઓને દેશના અને વિદેશના કુલ-1100 પક્ષીઓ અને 100 પ્રજાતિઓના પ્રાણીઓ જોવાનો આનંદ માણી શકશે. આ પ્રોજેકટમાં જુદા જુદા 29 પ્રાણીઓ માટે ખાસ નિયત વિસ્તાર અને વિશ્વમાં સૌથી મોટા બે જીઓડેસીક ડોમ એવીયરીઝ’નો સમાવેશ છે. જેમાં પ્રવાસીઓ પોતાની આજુબાજુ ઉડતાં પક્ષીઓ જોવાનો રોમાંચ માણે છે. જંગલ સફારી પ્રોજેકટમાં પેટીંગ ઝોનનો સમાવેશ છે. પેટીંગ ઝોનમાં મકાઉ, કોકેટુ, સસલાઓ, ગુનીયા પીગ, નાનો અશ્વ, નાના ઘેંટા અને બકરા, ટર્કી અને ગીઝનો સમાવેશ છે.

એકતા મોલ
પ્રવાસીઓ કેવડિયાની મુલાકાત દરમિયાન ખરીદીનો વિશિષ્ટ પ્રકારનો અનુભવ લઈ શકે તે માટે બે માળ અને 35,000 ચો.ફુટમાં પથરાયેલ વિશાળ એકતા મોલ બાંધવામાં આવેલ છે. જેમાં દેશના જુદાજુદા રાજયોમાંથી 20 જેટલા પરંપરાગત હેન્ડલુમ અને હેન્ડીક્રાફટ એમ્પોરીયા છે. એકતા મોલમાં જુદા જુદા રાજ્યોની વખણાતી ચીજવસ્તુઓ એક જ જગ્યાએથી ખરીદીનો પ્રવાસીઓ આનંદ માણે છે. જેમાં ગરવી ગુર્જરી, પુરબશ્રી, કૈરાલી, મુર્ગનૈની, પુમ્પુહર, ગંગોત્રી, કાવેરી, ખાદી ઈન્ડિયા, કાશ્મીર અને CCI એમ્પોરિયમ આવેલ છે.

ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક
અદ્યતન ટેકનોલોજી સંચાલિત વિશ્વનો સૌ પ્રથમ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક છે. આ થીમ બેઝ પાર્ક 35000 ચો.મી. વિસ્તારમાં પથરાયેલ છે. બાળકોને જ્ઞાન સાથે ગમ્મત મળે તે હેતુથી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી આ પાર્ક ખાસ ડિઝાઈન કરવામાં આવેલ છે. જેમાં બાળકો મીની ટ્રેન દ્વારા 600 મીટર પ્રવાસ કરે છે. પ્રવાસ દરમિયાન ફળ-શાક ગૃહમ્, અન્નપૂર્ણા, પોષણપુરમ્, સ્વસ્થ ભારતમ્ અને ન્યુટ્રી હંટ જેવા સ્ટેશનો આવે છે. આ સ્થળોમાં જુદી જુદી 47 જેટલી ટેકનોલોજીનો ઉપયોગ કરી બાળકોને મનોરંજનની સાથે માહિતી મળે અને ‘‘સહિ પોષણ-દેશ રોશન’’ ચરિતાર્થ થાય તે પ્રયાસ કરવામાં આવેલ છે. વધુમાં નાના-મોટા તમામ પ્રવાસીઓને મનોરંજન માટે મીરર મેઈઝ, 5-D થિયેટર, ભૂલભુલૈયાં પણ છે.

યુનિટી ગ્લો ગાર્ડન
પ્રવાસીઓને રોમાંચ, ઉત્તેજના અને આનંદ થાય તેવો ખાસ થીમ સાથેનો યુનિટી ગ્લો ગાર્ડન છે. જે આ પ્રકારનો દેશમાં સૌ પ્રથમ ગાર્ડન છે. 3.61 એકરમાં પથરાયેલ આ વિશાળ ગાર્ડનમાં 2.41 લાખ LED લાઈટ, 31 ઝગમગતાં પ્રાણીઓ જેવા કે હરણ, અશ્વો, જિરાફ, ફ્લેમિંગો, હંસ, સસલાઓ વગેરે, 125 ઝળહળતા ફૂલો, 35 વૃક્ષો, 51 ઈન્ટરેક્ટિવ લાઈટીંગ એલીમેન્ટ્સ અને 4 ત્રિપરિમાણીય ફુવારાઓ પ્રવાસીઓને મંત્ર મુગ્ધ કરી દે છે.

કેકટ્સ ગાર્ડન
સરદાર સરોવર ડેમ નજીક નર્મદા નદીના ડાબા કાંઠે 25 એકરમાં પથરાયેલ ગાર્ડનમાં 450 પ્રકારની કેક્ટી અને સેક્યુલન્ટસ પ્રજાતિ છે અને વિશ્વના જુદા જુદા 17 દેશોના કુલ 6 લાખ જેટલાં કેકટ્સના છોડવાઓ આવેલા છે. કેકટ્સ ગાર્ડનમાં 838 ચો.મી.નો અષ્ટકોણીય ડોમ આવેલ છે, જે પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણ છે. કેકટ્સ ગાર્ડનમાં કેકટ્સમાંથી બનતી દવાઓ અને હર્બલ પ્રોડક્ટની ખાસ દુકાન છે અને પ્રવાસીઓ તેમાંથી કેકટ્સના છોડવાઓ તથા દવાઓ ખરીદી શકે છે.

એક્તા નર્સરી
જુદા જુદા રોપાઓના પ્રદર્શન-વેચાણ મારફત એકતાના વિચારની થીમ ઉપર 10 એકરમાં પથરાયેલ આ એકતા નર્સરી 10 લાખ રોપાઓ પ્રતિ વર્ષ ઉછેરવાની ક્ષમતા છે. એકતા નર્સરી એકતા હેન્ડીકાફ્રટ પ્રવાસીઓનું આકર્ષણ સ્થળ છે જેમાં બામ્બુ કાફ્રટ્સ, સોપારીના પાંદડાઓમાંથી બનતી વસ્તુઓ અને ઓર્ગેનિક પોટ્સનું પ્રદર્શન-વેચાણ છે. આ જગ્યાએ પ્રવાસીઓ વસ્તુઓ જાતે બનાવવાનો અનુભવ અને આનંદ મેળવે છે. કાફેટેરીયામાં આદિવાસી મહિલાઓ દ્વારા સ્થાનિક સ્વાદિષ્ટ વ્યંજનોનો સ્વાદ ઉપલબ્ધ છે. સોવીનીયર શોપમાં પ્રવાસીઓને સાબુ, મધ, રોપાઓ વગેરેની ખરીદીનું પ્રવાસીઓને ખાસ આકર્ષણ છે.

ખલવાણી ઈકો-ટુરિઝમ
ખલવાણી ઈકો-ટુરિઝમ સ્થળ 100 એકર વિસ્તારમાં પથરાયેલ છે જેમાં 82 એકર વિસ્તારમાં 1.3 લાખ વૃક્ષોની હરિયાળી છે. આ સ્થળે 100 જેટલા પ્રવાસીઓને રહેવા માટેની ઉત્તમ સગવડતા છે, જેમાં ટ્રી હાઉસ, ટેન્ટ વગેરેનો સમાવેશ છે.પ્રવાસીઓને કુદરતના સાનિધ્યમાં રહેવા અને સાહસિક પ્રવૃત્તિઓ કરવાનું આ ઉત્તમ સ્થળ છે.

આરોગ્ય વન
માનવીના આરોગ્યને ધ્યાનમાં રાખીને જુદા જુદા વૈદિક વૃક્ષો સાથેનું આ આરોગ્ય વન 17 એકરમાં પથરાયેલું છે. આરોગ્ય વનમાં યોગ, આયુર્વેદ અને ધ્યાનને ખાસ મહત્વ આપવામાં આવેલ છે. 380 પ્રજાતિના જુદા જુદા 5 લાખ વૃક્ષો ઉછેરવામાં આવ્યા છે. આરોગ્ય વનમાં કમળ તળાવ, ગાર્ડન ઓફ કલર્સ, આલ્બા ગાર્ડન, લ્યુટીયા ગાર્ડન, એરોમા ગાર્ડન, યોગ અને ધ્યાન – સ્થળ, ઈન્ડોર પ્લાન્ટ સેકશન, ડિઝીટલ ઇન્ફર્મેશન સેન્ટર, સોવીનીયર શોપ, કાફેટેરિયા વગેરેનો સમાવેશ થાય છે. વધુમાં આરોગ્ય વેલનેસ સેન્ટરમાં કેરાલાના ર્ડાકટર અને નિષ્ણાત સ્ટાફ દ્વારા જુદી જુદી નેચર થેરાપીનો પ્રવાસીઓને લાભ મળે છે.

જેટ્ટી અને એકતા ક્રૂઝ
પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવે ત્યારે નર્મદા નદીમાં બોટીંગ દ્વારા સાતપુડા તથા વિધ્યાચળ પર્વતમાળાની હરિયાળીનો આનંદ મળે તે હેતુથી ફેરી બોટ સર્વિસ – એકતા ક્રૂઝ પ્રોજેકટ કરવામાં આવેલ છે. એકતા ક્રૂઝ દ્વારા પ્રવાસીઓ 6 કિ.મી. સુધી અને 40 મિનીટ બોટીંગનો આહલાદક આનંદ મેળવે છે. એકતા ક્રૂઝની લંબાઈ 26 મીટર અને પહોળાઈ 9 મીટર છે અને 200 પ્રવાસીઓની ક્ષમતા ધરાવે છે. આ ફેરી બોટ સર્વિસ માટે શ્રેષ્ઠ ભારત ભવન ખાતે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જેટ્ટી બનાવવામાં આવેલ છે.

નેવિગેશન ચેનલ
નર્મદા નદીમાં શ્રેષ્ઠ ભારત ભવન તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે ફેરી બોટમાં આવવા જવા કરવા માટે 7 કિ.મી. લંબાઈમાં 60 મીટર પહોળી અને 25 મીટર ઊંડી નેવિગેશન ચેનલ બનાવવામાં આવેલ છે. આ ચેનલ બનાવવા માટે અંદાજે 5 લાખ ઘન મીટર હાર્ડ રોકનું ખોદકામ કરવામાં આવેલ છે.

ગરૂડેશ્વર વિયર
સરદાર સરોવર ડેમમાં જળ વિદ્યુત મથકના રીવર્સેબલ ટર્બાઈનના સંચાલન માટે નીચે વાસમાં તળાવનું નિર્માણ કરવા માટે ગરૂડેશ્વર વિયર બનાવવામાં આવેલ છે. ગરૂડેશ્વર વિયર નર્મદા ડેમથી 12.10 કિ.મી. નીચે વાસમાં આવે છે. ગરૂડેશ્વર વિયરની લંબાઈ 609 મીટરનાં સ્પીલવે સાથે કુલ- 1218 મીટર છે. વિયરની સંગ્રહ શક્તિ 87.20 મીલીયન કયુબીક મીટર છે. ગરૂડેશ્વર વિયરમાં 9 મે.વો.જળવિદ્યુત ઉત્પન્ન કરવાની ક્ષમતા છે.

નવો ગોરા બ્રીજ
ગોરા ગામ નજીક નર્મદા નદી પર લો લેવલનો કોઝવે ગરૂડેશ્વર વીયરના કારણે ડુબમાં આવતો હોવાથી નવો ગોરા બ્રીજ બનાવવામાં આવેલ છે. જેમાં મુખ્ય ભાગની લંબાઈ 920 મીટર છે અને એપ્રોચીઝની લંબાઈ 1.6 કિ.મી. છે.આ બ્રીજમાં વાહનોની સરળતાથી અવરજવર માટે ચાર લેન કરવામાં આવેલ છે. ગોરા બ્રીજ સરદાર સરોવર ડેમથી 6.30 કિ.મી. નીચે વાસમાં છે.આ બ્રીજ કેવડિયાથી રાજપીપળા રસ્તાને જોડે છે.

હોમ સ્ટે
હોમ સ્ટે એટલે કે કોઇકના ઘરમાં ટુંક સમય માટે ભાડેથી રોકાણ કરવા માટેની સુવિધા, શહેરમાંથી આવતા પ્રવાસીઓને આદિવાસી ગ્રામ્ય જીવનનો અનુભવ મળે અને આદિવાસી પ્રજાની રહેણીકરણી, તેમની ખાદ્ય વાનગીઓ સાથે ગામડાનું જીવન માણવાની તક મળે છે. આ પ્રોજેક્ટ અંતર્ગત સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસના વિસ્તારના 11 ગામોમાં 32 આદિવાસી મકાનોના 54 ઓરડાઓનું આધુનિકરણ કરવામાં આવેલ છે, જેમાં ટી.વી. ફ્રિજ, એરકન્ડીશનર, વોટર પ્યુરિફાયર, સોફાસેટ વગેરે સુવિધાઓથી સજ્જ કરવામાં આવેલ છે.