કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે પ્રેસ કોન્ફરન્સ કરીને મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને લોકડાઉન ફેલ થયું હોવાનો આરોપ લગાવ્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાન મોદીએ બે મહિના પહેલાં કહ્યું હતું કે, આપણે 21 દિવસમાં કોરોના વાઈસને હરાવી દઈશું પરંતુ આજે 60 દિવસ પછી પણ આપણાં દેશમાં કોરોના વાઈરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને લોકડાઉન હટાવવામાં આવી રહ્યું છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, લોકડાઉનનો ઉદ્દેશ સંપૂર્ણ રિતે ફેઈલ થયો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, લોકડાઉનના ચાર તબક્કામાં પણ પીએમને આશા હતી તેવા પરિણામો નથી મળ્યા. આ સંજોગોમાં અમે બધા સરકારને પૂછવા માંગીએ છીએ કે, હવે સરકાર આગળ શું કરવાની છે. કારણકે લોકડાઉન ફેઈલ થઈ ગયું છે. રાહુલે આરોપ લગાવ્યો કે, પીએમ મોદી શરૂઆતમાં ફ્રન્ટ ફૂટ પર રમતા હતા પરંતુ હવે તેઓ બેકફૂટ પર આવી ગયા છે. પરંતુ પીએમએ ફરી ફ્રન્ટફૂટ પર આવવું પડશે.

રાહુલનો સવાલ છે કે, લોકડાઉન ખોલવા વિશે સરકારની સ્ટ્રેટેજીમાં પ્રવાસીઓ અને રાજ્યોની મદદ વિશે શું વ્યવસ્થા કરવામાં આવી છે? તેમણે કહ્યું કે, સરકારે આર્થિક પેકેજમાં જે આપ્યું તેનાથી કશું થવાનું નથી. લોકોના હાથમાં પૈસા પહોંચવા જોઈએ. સામાન્ય જનતા અને ઈન્ડસ્ટ્રીઝને આર્થિક મદદ નહીં મળે તો ખરાબ પરિણામ આવી શકે છે. કેન્દ્ર સરકારે રાજ્યોની પણ મદદ કરવી જોઈએ.

તેના વગર કોંગ્રેસ શાસિત રાજ્યોમાં તકલીફો આવી શકે છે. ચીન સાથે ચાલતા તણાવ વિશે રાહુલ ગાંધીએ કહ્યું, સરકારે સ્પષ્ટ જણાવવું જોઈએ કે ક્યારે-ક્યારે, શું-શું થયું? નેપાળમાં શું થયું હતું અને હવે લદ્દાખમાં શું થવાનું છે? આ વિશે હજી કોઈ પારદર્શિતા નથી.