STR (Photo by STRDEL/AFP via Getty Images)

રણબીર કપૂર માટે 8 નંબર લકી હોવાનું કહેવાય છે. હવે તાજેતરમાં તેણે સ્પષ્ટતા કરી હતી કે, તે 8ને લકી નંબર એટલા માટે માને છે કે તેની માતા નીતુ કપૂરની જન્મ તારીખ 8 જુલાઈ છે.

રણબીરે તાજેતરમાં દુબઈ ખાતે મીડિયા સમક્ષ 8 નંબર માટેના પોતાના આકર્ષણનું કારણ જાહેર કર્યું હતું. તેણે કહ્યું હતું કે માતાની જન્મ તારીખ 8 જુલાઈ હોવાથી પોતાને નાનપણથી જ 8 સાથે ખાસ લગાવ રહ્યો છે. આ ઉપરાંત અંગ્રેજીમાં આઠના અક્ષરને આડો કરીને જોવામાં આવે તો તે અનંતતા પણ સૂચવે છે. તેના લીધે પણ રણબીર આઠના નંબર સાથે સ્પેશ્યલ કનેક્શન ધરાવે છે.

કપૂર પરિવારમાં રણબીર ઉપરાંત તેના સ્વ. પિતા રિશી કપૂર ને પણ આઠના આંકડા સાથે વિશેષ સંબંધ હતો. તેમની એસયુવી કારની નંબર પ્લેટ પણ આઠ સાથે સંકળાયેલી હતી. નીતુ કપુરની કારની નંબરપ્લેટમાં પણ આઠનું જ કનેક્શન છે.

એ જ રીતે રણબીરની લગભગ તમામ ગાડીઓની નંબર પ્લેટ પણ આઠ નો આંકડો કે કોમ્બિનેશન ધરાવે છે. તેણે પોતે સૌ પ્રથમ જીપ ખરીદી હતી ત્યારે તેના માટે ખાસ આઠ નંબર મેળવ્યો હતો. રણબીરના આ લગાવને કારણે આલિયા ભટ્ટ પણ આઠના આંકડાને પોતાના માટે લકી માને છે. તેણે તેની વેડિંગ જ્વેલરીમાં પણ આઠનો આંકડો હોય તેવી ડિઝાઇન પસંદ કરી હતી. રણબીર ઉપરાંત અભિષેક બચ્ચન અને કાર્તિક આર્યન પણ ફૂટબોલના શોખીન છે. આ ત્રણેય સ્ટાર્સ દૂબઈની ફૂટબોલ ઇવેન્ટમાં હાજર રહ્યા હતા.