મુંબઈમાં કથિત ડ્રગ્સ કેસમાં એનસીબીના અધિકારીઓએ બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનના પુત્ર આર્યનને કોર્ટમાં રજૂ કર્યો હતો. (PTI Photo)

ચકચારી ડ્રગ્સ કેસમાં બોલીવૂડ સ્ટાર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન ગુરૂવાર સુધી નાર્કોટિક્સ એજન્સીની કસ્ટડીમાં રહેશે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ (NCB) શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની રવિવારે ધરપકડ કરી હતી. NCBએ ક્રૂઝ શિપ પર રેડ કરતા પાર્ટીમાંથી ગેરકાયદે ડ્રગ્સ જપ્ત કરાયું હતું અને ઘણાં લોકોની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરાઈ હતી.

રવિવારે એનસીબીએ આર્યન ખાન સહિત 3 લોકોની ધરપકડ કરી હતી. જેમાં શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન સિવાય અરબાઝ મર્ચન્ટ અને મૉડેલ મુનમુન ધામેચા સામેલ છે.આર્યન ખાનનો કેસ સિનિયર એડવોકેટ સતિષ માનેશિંદે લડી રહ્યા છે. તેમણે કોર્ટમાં દલીલ કરી હતી કે, તેમના અસીલને ક્રૂઝ પર ઈવેન્ટના આયોજકોએ આમંત્રિત કર્યો હતો. આર્યન ખાનનો બચાવ કરતાં સતિષ માનેશિંદેએ કહ્યું, “તેને દોષિત સાબિત કરતો કોઈપણ સામાન તેની પાસેથી મળી આવ્યો નથી. આર્યન ખાન પાસે ડ્રગ્સ હોય કે તેણે સેવન કર્યું હોય તેવા પુરાવા મળ્યા નથી. જોકે, આર્યન ખાન સામે જે કલમો લગાવાઈ છે તે બધી જ જામીનપાત્ર છે.

અગાઉ NCBના ચીફ એસ.એન. પ્રધાને ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, “અમે પક્ષપાત રાખ્યા વિના કામ કરી રહ્યા છીએ. જો કોઈ વગદાર વ્યક્તિ કે બોલિવુડનું કનેક્શન નીકળે તો પણ શું. અમારે કાયદાની મર્યાદામાં રહીને વર્તવાનું છે. અમે મુંબઈમાં કામ ચાલુ રાખીશું. તમે આંકડા પર નજર નાખશો તો ખબર પડશે કે અમે છેલ્લા એક વર્ષમાં 300થી વધુ રેડ કરી છે. આ કામ ચાલુ જ રહેશે પછી તેમાં વિદેશીઓ, ફિલ્મ ઈન્ડસ્ટ્રી કે ધનિક લોકો જ કેમ ન જોડાયેલા હોય.”

આર્યન ખાનની ધરપકડ બાદ સલમાન ખાન, સુનિલ શેટ્ટી, હંસલ મહેતા, પૂજા ભટ્ટ, નફીસા અલી સોઢી જેવા મનોરંજન જગતના સિતારાઓ શાહરૂખ ખાનના સપોર્ટમાં આવ્યા છે. આ સિવાય ફેન્સે પણ ટ્વિટર પર #WeStandWithSRK ટ્રેન્ડ કર્યું હતું અને શાહરૂખનું સમર્થન કર્યું હતું.