હેલિકોપ્ટર દુર્ઘટનાનો શિકાર બનેલા ભારતના આર્મી ચીફ બિપિન રાવત ઉંચાઈ પર જંગ લડવા અને કાઉન્ટર ઈમર્જન્સી ઓપરેશનના એક્સપર્ટ હતા. 2016ના વર્ષમાં ઉરી ખાતે સેના કેમ્પ પર થયેલા આતંકવાદી હુમલા બાદ આર્મી ચીફ જનરલ બિપિન રાવતના નેતૃત્વમાં 29 સપ્ટેમ્બર, 2016ના રોજ પાકિસ્તાનમાં આતંકવાદી કેમ્પ ધ્વંસ્ત કરવા માટે સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી. બિપિન રાવતે ટ્રેન્ડ પેરા કમાન્ડોના માધ્યમથી તેને અંજામ આપ્યો હતો.

ઉરી ખાતે સેનાના કેમ્પ અને પુલવામા ખાતે સીઆરપીએફના કાફલા પર થયેલા હુમલામાં અનેક જવાનો શહીદ થયા ત્યાર બાદ સેનાએ પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. આર્મીમાં સર્વિસ દરમિયાન તેમણે પાકિસ્તાન, ચીનની બોર્ડર અને નોર્થ ઈસ્ટ ખાતે લાંબો સમય વિતાવ્યો હતો. ચાઈનીઝ બોર્ડર પર બિપિન રાવતે કર્નલ તરીકે ઈન્ફેન્ટ્રી બટાલિયનની કમાન સંભાળી હતી.

બિપિન રાવતને ઈન્ડિયન મિલિટ્રી અકાદમીમાં (આઈએમએ) ‘સ્વોર્ડ ઓફ ઓનર’ વડે નવાજવામાં આવ્યા હતા.
રાવત ચીફ ઓફ સ્ટાફ કમિટીના અધ્યક્ષ ઉપરાંત ભારતીય સેનાના 27મા સેનાધ્યક્ષ તરીકે પણ કાર્ય કરી ચુક્યા છે. બિપિન રાવતનો જન્મ 16 માર્ચ, 1958ના રોજ ઉત્તરાખંડના પૌડી ખાતે ગઢવાલી રાજપૂત પરિવારમાં થયો હતો. તેમણે 1978ના વર્ષમાં આર્મી જોઈન કરી હતી. 2011માં તેમણે ચૌધરી ચરણ સિંહ યુનિવર્સિટી ખાતેથી મિલિટ્રી મીડિયા સ્ટડીઝમાં પીએચડીની ડિગ્રી મેળવી હતી. બિપિન રાવતે 01 ડિસેમ્બર, 2016ના રોજ આર્મીના વાઈસ ચીફનું પદ સંભાળ્યું અને 31 ડિસેમ્બર, 2016ના રોજ ઈન્ડિયન આર્મીના 26મા ચીફની જવાબદારી મળી. 30 સપ્ટેમ્બર, 2019ના રોજ તેઓ ભારતના પ્રથમ CDS તરીકે નિયુક્તિ થયા હતા. બિપિન રાવતે 1 જાન્યુઆરી, 2020ના રોજ સીડીએસનો પદભાર ગ્રહણ કર્યો હતો.