સીડનીમાં શનિવારે રમાયેલી ત્રીજી અને અંતિમ વન-ડે મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને નવ વિકેટથી હરાવ્યું છે. રોહિત શર્માએ સર્વાધિક 121 રન કર્યા હતા. બીજી બાજુ, વિરાટ કોહલી પણ 74 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. આ મેચ ભારતે જીતી લીધી હોવા છતાં ઓસ્ટ્રેલિયા 2-1થી સીરિઝ વિજેતા રહ્યું હતું. આ મેચમાં શુભમન ગિલે કેપ્ટન તરીકે પ્રથમ જીત મેળવી હતી. ઓસ્ટ્રેલિયન ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને 236 રન કર્યા હતા. હર્ષિત રાણાએ ભારત માટે સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી, જે અત્યાર સુધીના તેના વનડે કારકિર્દીનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. 237 રનના લક્ષ્યને પાર પાડવા માટે ટીમ ઇન્ડિયાએ 69ના સ્કોર પર શુભમન ગિલની વિકેટ ગુમાવી હતી. ગિલ માત્ર 24 રન બનાવી આઉટ થયો. ત્યાર બાદ વિરાટ કોહલી અને રોહિત શર્માએ સાથે મળી ઇનિંગ સંભાળી અને ટીમને જીત અપાવી હતી. રોહિત શર્માની વન-ડે કારકિર્દીની 33મી અને આંતરરાષ્ટ્રીય કારકિર્દીની 50મી સદી નોંધાવી હતી. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલાં શુભમન ગિલને વન ડેનું સુકાની પદ સોંપાયું હતું. પર્થમાં તેના નેતૃત્ત્વમાં ટીમ ઇન્ડિયા પ્રથમ મેચ સાત વિકેટથી હારી ગઈ હતી. એડિલેડમાં રમાયેલી બીજી વન-ડેમાં પણ ભારતને બે વિકેટથી હાર મળી હતી.












