ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની રવિવારે 146મી જન્મજયંતી નિમિતે ગુજરાતના કેવડિયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સાન્નિધ્યમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સરદાર પટેલને શ્રદ્ધાજલિ આપી હતી. (ANI Photo)

ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની રવિવારે 146મી જન્મજયંતી નિમિતે ગુજરાતના કેવડિયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સાન્નિધ્યમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થઇ હતી. જોકે હાલ વડાપ્રધાન મોદી જી-20 સંમેલનમાં હોવાથી તેઓએ વીડિયો સંદેશ મારફત રાષ્ટ્રીય એકતા દિવસે દેશને સંબોધિત કર્યો હતો. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કેવડીયા ખાતે સવારે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને એકતા પરેડમાં હાજરી આપી હતી. આ પ્રસંગે એકતા પરેડ, બેન્ડ પ્લાટુનના પર્ફોર્મન્સ, કેન્દ્રીય સશસ્ત્ર દળોની સાઇકલ રેલી, ચાર રાજ્યોની પોલીસની મોટર સાઇકલ રેલી માર્શલ આર્ટ નિદર્શન, સ્કુલ બેન્ડ પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરાયું હતું.

મોદીએ રાષ્ટ્રીય એક્તા દિવસ પર દેશવાસીઓને ખુબ ખુબ શુભકામનાઓ આપતાં કહ્યું કે, એક ભારત શ્રેષ્ઠ ભારત માટે જીવનની દરેક પળ જેમણે સમર્પિત કરી, એવા રાષ્ટ્ર નાયક સરદાર વલ્લભભાઈ પટેલને આજે દેશ પોતાની શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે. આજે દેશભરમાં એક્તાનો સંદેશ લઈને આપણા ઉર્જાવાન સાથીઓ આગળ વધી રહ્યા છે. ભારતની અખંડિતતા પ્રત્યે આપણે દેશના ખૂણે ખૂણે થઈ રહેલા રાષ્ટ્રીય એક્તા દિવસના આયોજનને જોઈ રહ્યા છીએ.
પોતાના સંદેશમાં મોદીએ આગળ જણાવ્યું કે સરદાર પટેલજી ફક્ત ઈતિહાસમાં જ નહીં પરંતુ આપણા દેશવાસીઓના હ્રદયમાં પણ છે. ધરતીના જે ભૂભાગ પર આપણે 130 કરોડ ભારતીયો રહીએ છીએ, તે આપણી આત્મા, સપના, આકાંક્ષાઓનો અખંડ ભાગ છે. સેંકડો વર્ષોથી ભારતના સમાજ, પરંપરાઓથી લોકતંત્રનો જે મજબૂત પાયો રચાયો છે તેણે એક ભારતની ભાવનાને સમૃદ્ધ કરી છે.

કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ કાર્યક્રમ દરમિયાન હાજર સૌને કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે એક્તા શપથ લેવડાવ્યા હતા. આ સાથે તેમણે કહ્યું કે ”આવો આજે આપણે સાથે મળીને આપણા પ્રેરણાદાયી લોખંડી પુરૂષ સરદાર સાહેબે બતાવેલા માર્ગને અનુસરીને અખંડ ભારતની એકતા અને સમૃદ્ધિમાં આપણું સર્વશ્રેષ્ઠ આપવાનો સંકલ્પ લઈએ.” અમિત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યુ કે, દેશમાં બલિદાન આપનાર લાખો વીર જવાનોને આજે યાદ કરીને શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ છે. હું કરોડો દેશવાસીઓને કહેવા માગુ છું કે, સદીઓમાં કોઇ એક જ સરદાર બની શકે છે, તે સદીઓ સુધી અલખ જગાવે છે. કેવડિયા આજે દેશ ભક્તિનું તીર્થસ્થાન બની ગયું છે.મણે વધુમાં જણાવ્યુ કે, ચાણક્ય પછી સરદાર પટેલે દેશને એક કરવાનું કામ કર્યું હતું, જેના કારણે આજે આપણો દેશ એક થઇને આગળ વધી રહ્યો છે.