(ANI Photo)

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ઇન્ડિયન પ્રીમિયમ લીગ (IPL)-2026ના બીજા તબક્કાના મેચની સત્તાવાર જાહેરાત કરી હતી. આ કાર્યક્રમ મુજબ ગ્રુપ સ્ટેજની 50 મેચો આગામી 13 એપ્રિલથી 24 મે 2026 દરમિયાન અમદાવાદ સહિત 12 અલગ-અલગ શહેરોમાં રમાશે. બીજા રાઉન્ડની મેચો માટે અમદાવાદ, મુંબઈ, બેંગલુરુ, ચેન્નાઈ, કોલકાતા, દિલ્હી, હૈદરાબાદ, લખનૌ, જયપુર, ધર્મશાલા, રાયપુર અને ન્યૂ ચંદીગઢ જેવા સ્થળોની પસંદગી કરાઈ છે.

લીગ સ્ટેજની તમામ મેચોના કાર્યક્રમમની હવે જાહેરાત થઈ ચુકી છે, પરંતુ પ્લેઓફના સ્થળોની હજુ જાહેરાત કરાઈ નથી.
ટુર્નામેન્ટના આ બીજા તબક્કાની શરૂઆત 13 એપ્રિલે હૈદરાબાદમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેના મુકાબલાથી થશે. આ સમયગાળા દરમિયાન કુલ આઠ ડબલ-હેડર મેચો રમાશે, જેમાં બપોરની મેચ ભારતીય સમય અનુસાર 3:30 વાગ્યે અને સાંજની મેચ 7:30 વાગ્યે શરૂ થશે.

પંજાબ કિંગ્સ તેની હોમ મેચો ન્યૂ ચંદીગઢ અને ધર્મશાલામાં રમશે, જેમાં ત્રણ મેચો ધર્મશાલા ખાતે યોજાશે. બીજી તરફ રાજસ્થાન રોયલ્સ જયપુરમાં ચાર હોમ મેચ રમશે જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમ ત્રણ મેચ બેંગલુરુમાં અને બે મેચ રાયપુરમાં રમશે.

પશ્ચિમ બંગાળ, આસામ અને તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણીઓને કારણે સંપૂર્ણ સમયપત્રકની જાહેરાતમાં વિલંબ થયો હતો. વૈશ્વિક હવાઈ ક્ષેત્રના નિયંત્રણો અને વધતા ઉડ્ડયન ખર્ચને કારણે લોજિસ્ટિક જટિલતાએ પણ આયોજનને પ્રભાવિત કર્યું છે. બ્રોડકાસ્ટર જિયોસ્ટાર દ્વારા 2027 સુધી ICC ફ્યુચર ટૂર્સ પ્રોગ્રામ હેઠળ અવરોધોનો ઉલ્લેખ કરીને વધુ મેચો માટે દબાણ કરવામાં આવ્યું હોવા છતાં, BCCIએ વિસ્તરણ કરતાં સ્થિરતાને પ્રાથમિકતા આપી છે.