અમેરિકાના ન્યૂ જર્સી નજીકના રોબિન્સ વિલે ખાતે ખાતે બંધાઇ રહેલાં વિશ્વના સૌથી મોટા અને ભવ્ય સ્વામિનારાયણ મંદિર (BAPS)ના નિર્માણ કાર્યમાં લાગેલા કેટલાક સ્વયંસેવક-કારીગરોએ મંદિર સામે અમેરિકાની કોર્ટમાં દાખલ કરાયેલા સિવિલ કેસમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો હતો.

રાજસ્થાન હાઇકોર્ટના એડવોકેટ આદિત્ય એસબી સોનીએ ભારતીય મજદૂર સંઘ અને પથ્થર ગઢી સંઘના માધ્યમથી એક નિવેદનમાં એવી જાહેરાત કરી હતી કે ન્યૂ જર્સીના સ્વામિનારાયણ મંદિર ખાતે પથ્થરોની કોતરણીનું કામ કરતાં કેટલાંક કારીગરોએ તાજેતરમાં એમ કહ્યું હતું કે, હિંદુ ધર્મ અને હિંદુ સંસ્કૃતિ વિરુદ્ધ ઘડાયેલાં એક આંતરરાષ્ટ્રીય ષડયંત્રના એક ભાગ તરીકે અમેરિકામાં બંધાઇ રહેલાં હિંદુ મંદિરને નિશાન બનાવાયું હતું અને આ ધાર્મિક સ્વયંસેવકોને પણ તેઓના ષડયંત્રમાં સામેલ કરાયા હતા, પરંતુ પાછળથી તેઓને આખા કાવતરાંની ગંધ આવી જતાં તેઓએ ષડયંત્ર ઘડનારાઓ સામે બળવો પોકાર્યો હતો અને સ્વામિનારાયણ મંદિરના નિર્માણ કાર્યને અટકાવી દેવાના હેતુથી અમેરિકાની કોર્ટમાં દાખલ કરાયેલા સિવિલ કેસમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો હતો.

એડવોકેટ સોનીએ વધુમાં કહ્યું હતું કે, તેમના 25 જેટલાં અસીલો (કારીગરો) વતી પોતે આ જાહેરાત કરી રહ્યાં છે. અમેરિકાના ન્યૂજર્સી ખાતે આકાર લઇ રહેલાં ભવ્ય સ્વામિનારાયણ મંદિર ખાતે પથ્થરોની કોતરણીનું કામ કરવાના શ્રમયજ્ઞમાં આ કારીગરોએ સ્વયંસેવક તરીકે પોતાની સેવાઓ આપી હતી. આ પૈકીના 12 જેટલાં કારીગરોને અમેરિકાની કોર્ટમાં દાખલ કરાયેલાં કેસમાં પક્ષકાર બનવા દબાણ કરાયું હતું. આ કેસના આધારે અમેરિકાની એફબીઆઇના અધિકારીઓ 11 મે 2021ના રોજ મંદિર પરિસરમાં પ્રવેશ્યા હતા. ચકાસણી કરી હતી કે મંદિરમાં જે કારીગરો કામ કરી રહ્યા છે, તેમાં માનવ તસ્કરીના માધ્યમથી તો અમેરિકામાં ઘૂસાડવામાં આવ્યા નહીં ને? આ ઘટના પછી અમેરિકાની પોલીસ 134 કારીગરો પૈકી 110 સ્વયંસેવક કારીગરોને મંદિરની સાઇટ ઉપરથી લઈ ગઇ હતી. કેટલાંક કારીગરોએ રાજસ્થાન હાઇકોર્ટના એડવોકેટ સોનીનો સંપર્ક સાધ્યો હતો અને જણાવ્યું હતું કે, અમેરિકાની સ્વાતી સાવંત નામની એક મહિલા એડવોકેટે તેમને મંદિર વિરુદ્ધ ફરિયાદ કરવા બાબતે ગેરમાર્ગે દોર્યા હતા, તેથી તેઓ હવે આ કેસમાંથી ખસી જવા માગે છે.

આ કારીગરો ભારતમાં અને વિદેશોમાં બંધાઇ રહેલાં BAPSના મંદિરોમાં સ્વયંસેવક તરીકે ઘણાં વર્ષોથી સેવાઓ આપી રહ્યાં છે. અને તમામ મંદિરોના નિર્માણકાર્ય દરમ્યાન તેઓએ ક્યારેય તેમના ઉપરથી દબાણ થયું હોવાનું કે જાતિગત ભેદભાવ થવાનું અનુભવ્યું નથી.

એડવોકેટ સોનીએ કહ્યું હતું કે, મંદિર વિરુદ્ધ અમેરિકાની કોર્ટમાં કરાયેલાં કેસમાં પક્ષકાર બનેલાં કેટલાંક કારીગરોને પછીથી સમજાયું હતું કે તેઓને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા. બે ડઝનથી વધુ કારીગરોએ આ કેસમાંથી ખસી જવાનો નિર્ણય કરી રાજસ્થાન હાઇકોર્ટના એડવોકેટ સોનીને આ કેસમાં મદદ કરવા વિનંતી કરી હતી. તેઓએ એડવોકેટ સોનીને તેમના નિર્ણય અંગે અમેરિકાની કોર્ટ અને એટર્નીને જાણ કરવાની વિનંતી કરી હતી. સાથો સાથ આ તમામ કારીગરોએ હવે મંદિર સામે કરેલો કેસ અને કેસમાં જે કાંઇ દાવો કર્યો હતો તે પણ સ્વેચ્છાએ પાછો ખેંચી લીધો છે.

LEAVE A REPLY

1 + 12 =