રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ ગુજરાત કૉંગ્રેસના નવા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. શ્રી ગોહિલ જગદીશ ઠાકોરના અનુગામી બન્યા છે. તેઓઁ કચ્છના અબડાસાના ધારાસભ્ય રહી ચૂકયા છે.

ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો ભારે રકાસ થયો હતો અને તેને ફાળે માત્ર 17 બેઠકો આવી હતી. રકાસના કારણો શોધવા માટે એક તથ્યશોધક સમિતિ રચાઇ હતી. જેની સમક્ષ કાર્યકારો તેમજ કેટલાક અગ્રણીઓ દ્વારા નેતાઓએ બેઠકની વહેંચણીમાં સગાવાદને ધ્યાનમાં લીધો હોવાનો અને ટિકિટો મનફાવે તેમ આપવામાં આવી હોવાનો તેમ પૈસા લઈ આપી હોવાના આક્ષેપો થયા હતા. તત્કાલિન પ્રમુખ જગદીશ ઠાકોર સામે પણ વિરોધના સૂર ઉઠ્યા હતા.

આથી ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવા માટે કોંગ્રેસ હાઇકમાન્ડે પક્ષના વરિષ્ઠ અને સુશિક્ષિત નેતા શક્તિસિંહ ગોહિલની પસંદગી કરી છે. શ્રી ગોહિલ 1990માં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી (એઆઇસીસી)ના સભ્ય બન્યા બાદ 1990માં પ્રથમ વિધાનસભાની ચૂંટણી લડી હતી અને ભાવનગર દક્ષિણ મતવિસ્તારમાંથી ચૂંટાયા હતા શક્તિસિંહ ગોહિલની રાજકીય કારકિર્દી જોઇએ તો, 1991થી 1995 દરમિયાન તેઓએ સતત બે રાજ્ય સરકારોમાં નાણાં, આરોગ્ય, શિક્ષણ, નર્મદા વિભાગના મંત્રી તરીકે પણ રહી ચૂક્યા છે. તેઓ 2007થી 2012 સુધી વિધાનસભામાં વિપક્ષના નેતાપદે રહી ચૂક્યા છે.

ગુજરાતમાં કોંગ્રેસ ટર્મથી હારનો સામનો કરી રહી છે. આગામી 2024માં લોકસભાની ચૂંટણી યોજાઇ રહી છે. તેને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ હાઇ કમાન્ડે પ્રદેશકોંગ્રેસનું સુકાન શક્તિસિંહ ગોહિલને સોંપ્યું છે. વર્ષ 2014 અને 2019માં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ગુજરાતની 26માંથી એકપણ બેઠક મળી હતી.

શક્તિસિંહનો જન્મ 4 એપ્રિલ 1960ના રોજ ભાવનગર જિલ્લાના લીમડા ખાતે, તત્કાલીન બૃહદ મુંબઈ રાજ્યમાં થયો હતો. તે ગુજરાતના સૌરાષ્ટ્ર ક્ષેત્રના લીમડા રાજ્યના પૂર્વ રજવાડાના રાજવી પરિવારના મોટા પુત્ર છે. શક્તિસિંહે ભાવનગર યુનિવર્સિટીમાંથી રસાયણશાસ્ત્ર વિશેષતા સાથે વિજ્ઞાનમાં સ્નાતકની પદવી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી કાયદામાં સ્નાતકોત્તર મેળવ્યો છે. તેઓ પત્રકારત્વમાં ડિપ્લોમા પણ ધરાવે છે.

LEAVE A REPLY

18 + nineteen =