(ANI Photo)

ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડે દરમિયાન પાંસળીમાં થયેલી ઈજાને કારણે આંતરિક રક્તસ્ત્રાવ થતાં શ્રેયસ ઐયરને સિડનીની હોસ્પિટલના ICUમાં દાખલ કરાયો હતો. શનિવારે 26મી ઑક્ટોબરે ત્રીજી વન-ડે દરમિયાન શ્રેયસ ઐયરને મેચ દરમિયાન ડાબી પાંસળીમાં ઈજા થઈ હતી. એલેક્સ કેરીનો કેચ પકડ્યા બાદ તે પીડામાં હોવાનું જણાતા તેને તરત જ ડ્રેસિંગ રૂમમાં લઈ જવામાં આવ્યો હતો. BCCIની મેડિકલ ટીમે ડ્રેસિંગ રૂમમાં પ્રાથમિક તપાસ બાદ પરિસ્થિતિની ગંભીરતા જોતાં તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

BCCIએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેની તબિયત હાલ સ્થિર છે અને ઝડપથી રિકવર થઈ રહ્યો છે. સિડની અને ભારતના સ્પેશ્યાલિસ્ટ્સ સાથે BCCI ની મેડિકલ ટીમ પણ તેની સારવાર અંગે સતત અપડેટ લઈ રહી છે. ભારતીય ડોક્ટર્સની ટીમ પણ ઓસ્ટ્રેલિયામાં તેની સારવાર દરમિયાન સાથે જ રહેશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે શરુઆતમાં ઐયર લગભગ ત્રણ અઠવાડિયા માટે રમતથી દૂર રહેવાની અપેક્ષા હતી, પરંતુ હવે રિકવરીનો સમયગાળો લાંબો થઈ શકે છે. આંતરિક રક્તસ્ત્રાવ થયો હોવાથી, તેને સ્વસ્થ થવા માટે ચોક્કસપણે વધુ સમયની જરૂર પડશે, અને આ સમયે સ્પર્ધાત્મક ક્રિકેટમાં તેના પાછા ફરવાની ચોક્કસ સમયરેખા નક્કી કરવી મુશ્કેલ છે. તાજેતરમાં જ તેને ODI ટીમના ઉપ-કેપ્ટન તરીકે નિયુક્ત કરાયો હતો.

LEAVE A REPLY