સુપ્રીમ કોર્ટે શુક્રવારે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં મળી આવેલા કથિત શિવલિંગના કાર્બન ડેટિંગ સહિતના વૈજ્ઞાનિક સરવેના આદેશ પર સ્ટે મૂક્યો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યુ હતું કે અલ્હાબાદ હાઈકોર્ટના આ અંગેના આદેશની અસરોની વિગતવાર ચકાસણી કરવાની જરૂર છે.
અલ્હાબાદ હાઇકોર્ટે 12મેએ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને શિવલિંગ હોવાનો દાવો થયો છે તે સ્ટ્રક્ચરની ઉંમર નક્કી કરવાનો આદેશ આપ્યો હતો. જોકે મસ્જિદના સત્તાવાળાઓએ દાવો કર્યો હતો તે શિવલિંગ નથી, પરંતુ વજૂખાનાના ફુવારાનો એક ભાગ છે. હિન્દુ પક્ષને આ માળખાને શિવલિંગ ગણાવ્યું હતું અને પૂજાની પરવાનગી માગી હતી.
મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચુડની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની ખંડપીઠે અંજુમન ઈસ્લામિયા મસ્જિદ સમિતિની અરજીની સુનાવણી કરતાં કેન્દ્ર, ઉત્તરપ્રદેશ સરકાર અને હિન્દુ અરજદારોને નોટિસ જારી કરી હતી અને જણાવ્યું હતું કે હાઇકોર્ટના આદેશની અસરોની વિગતવાર ચકાસણી કરવાની જરૂર છે, તેથી આ આદેશનો અમલીકરણ સુનાવણીની આગામી તારીખ સુધી મોકૂફ રહેશે.
ઉત્તરપ્રદેશ સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આ પ્રક્રિયા દરમિયાન શિવલિંગને નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે જ્ઞાનવાપી ખાતે મળેલા શિવલિંગની ઉંમર નક્કી કરવા માટે વૈકલ્પિક પદ્ધતિ હોય તો સરકાર ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ સાથે પરામર્શ કરીને તેની તપાસ કરશે. કેન્દ્ર અને ઉત્તરપ્રદેશ સરકાર બંને શિવલિંગના સૂચિત વૈજ્ઞાનિક સર્વેક્ષણને હાલ માટે મુલતવી રાખવાની અરજી પર સંમત થયાં હતાં.














