વિરોધ પક્ષોના હોબાળા પછી સરકારે ઓપરેશન સિંદૂર અને પહેલગામ આતંકવાદી હુમલા પર લોકસભામાં 16 કલાકની ચર્ચા માટે સોમવારે સંમતિ આપી હતી અને આ ચર્ચા આવતા અઠવાડિયે હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. વિપક્ષે આગ્રહ કર્યો હતો કે આ ચર્ચા આ અઠવાડિયાથી જ શરૂ થવી જોઈએ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જવાબ આપવો જોઈએ.
સ્પીકર ઓમ બિરલાની અધ્યક્ષતામાં યોજાયેલી બિઝનેસ એડવાઇઝરી કમિટી (BAC)ની બેઠકમાં તમામ પક્ષોના સાંસદોએ હાજરી આપી હતી. સરકારી પ્રતિનિધિઓએ નોંધ્યું હતું કે પીએમ મોદી આ અઠવાડિયે વિદેશ પ્રવાસે જઈ રહ્યા છે, અને જ્યારે તેઓ ગૃહમાં હાજર રહેશે ત્યારે ચર્ચા આવતા અઠવાડિયે જ શક્ય છે. જોકે મોદી ચર્ચાનો જવાબ આપશે કે નહીં તે અંગે હજુ કોઇ નિર્ણય કરાયો નથી.
ઓપરેશન સિંદૂર પછી પ્રથમ વખત સોમવારથી સંસદનું ચોમાસુ સત્ર ચાલુ થયું હતું. વિપક્ષે પહેલગામ આતંકી હુમલો, ગુપ્તચર એજન્સીઓની નિષ્ફળતા, યુદ્ધવિરામના ટ્રમ્પના દાવા, બિહારમાં મતદાર યાદીમાં સુધારો સહિતના મુદ્દે સરકારને ઘેરવાની યોજના બનાવી છે. 21 જુલાઈથી ચાલુ થયેલું આ ચોમાસુ સત્ર 1 ઓગસ્ટે સમાપ્ત થશે.
સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ સર્વપક્ષીય બેઠક પછી શાસક અને વિપક્ષ બંનેને સંસદના સત્રના સુચારુ સંચાલન સુનિશ્ચિત કરવા હાકલ કરતાં જણાવ્યું હતું કે સંસદ સુચારુ રીતે ચાલે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી દરેકની છે. જોકે વિપક્ષી નેતાઓએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ સંવેદનશીલ રાષ્ટ્રીય મુદ્દાઓ ઉઠાવવામાં પાછી પાની નહીં કરે. આરજેડીના રાજ્યસભા સાંસદ મનોજ કુમાર ઝાએ જણાવ્યું હતું કે વિપક્ષ પહેલગામ આતંકવાદી હુમલાના મુદ્દે સરકાર પાસેથી સ્પષ્ટતા માગશે અને ઓપરેશન સિંદૂર પર વ્યાપક ચર્ચાની માંગ કરશે. આ મુદ્દે ટીકા નહીં, પણ ખુલ્લી, પ્રામાણિક ચર્ચા થવી જોઈએ.
આ સત્રમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ ઓપરેશન સિંદૂર પર વિગતવાર નિવેદન આપે તેવી શક્યતા છે. રાજનાથ સિંહે શુક્રવારે સાંજે તેમના મંત્રીમંડળના સાથીદારો સાથે બે મહત્વપૂર્ણ બેઠકો અને ટોચના લશ્કરી અધિકારીઓ સાથે એક બેઠક યોજી હતી. સરકાર સંસદમાં પોતાનો મત રજૂ કરવા માટે વિદેશ પ્રધાન એસ જયશંકરને પણ મેદાનમાં ઉતારી શકે છે.
સર્વપક્ષીય બેઠક પછી રિજિજુએ જણાવ્યું હતું કે અમે ઓપરેશન સિંદૂર જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા માટે ખુલ્લુ મન ધરાવીએ છીએ. આ ખૂબ જ રાષ્ટ્રીય મહત્વના મુદ્દાઓ છે. સરકાર ખચકાતી નથી અને ક્યારેય ખચકાશે નહીં, પરંતુ નિયમો અને પરંપરા મુજબ ચર્ચા થશે.સરકાર નિયમો અને પરંપરાને મહત્વ આપે છે. સર્વપક્ષીય બેઠકમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ બંને ગૃહોની બિઝનેસ એડવાઇઝરી કમિટીમાં રજૂ કરાશે અને તે આખરી નિર્ણય કરશે.
